પહલગામ હુમલા મુદ્દે તપાસમાં ચોંકાવનારો ખુલાસો: જાહેર કરેલા સ્કેચ આરોપીઓના નહોતા!

શ્રીનગર: 22 એપ્રિલના રોજ શ્રીનગરના પહલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 26 માસૂમે જીવ ગુમાવ્યાં હતાં. આ મામલે અત્યાર સુધીમાં તપાસનો ધમધમાટ શરૂ છે. આતંકવાદીઓની સતત શોધખોળ કરવામાં આવી રહી છે. આ તપાસમાં દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસે જે ત્રણ આતંકવાદીની તસવીરો જાહેર કરી હતી, તે ખરેખર આ હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ નહોતા.
NIAની તપાસમાં ખુલાસો થયો છે કે હુમલો કરનારા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. તાજેતરમાં, NIAએ બે કાશ્મીરી નાગરિકો, પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ જોથરની ધરપકડ કરી. લાંબી પૂછપરછમાં બંનેએ સ્વીકાર્યુ હતું કે હુમલા પહેલા આતંકવાદીઓ તેમના ઘરે રોકાયા હતા, આરોપીઓએ અહીં ખાધું પીધું ત્યાર બાદ રૂપિયા આપી ચૂપ રહેવાની ધમકી આપી હતી.

NIAના જણાવ્યા મુજબ, 20 એપ્રિલની રાત્રે ત્રણેય આતંકવાદીઓ આ બે કાશ્મીરીઓના ઘરે પહોંચ્યા હતા. પૂછપરછ દરમિયાન, બંનેને ઘણી સંદિગ્ધ તસવીરો બતાવવામાં આવી, જેમાંથી એક આતંકીનું નામ સુલેમાન શાહ હોવાનું બહાર આવ્યું. સુલેમાન ગયા વર્ષે થયેલા સુરંગ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં સાત મજૂરોનાં મોત થયા હતા. આ હુમલામાં સુલેમાનનો એક સાથી માર્યો ગયો હતો.
સુલેમાનના માર્યા ગયેલા સાથીના ફોનમાંથી મળેલી તસવીરોએ તપાસને નિર્ણાયક દિશા આપી. આ તસવીરો બંને કાશ્મીરી આરોપીઓને બતાવતાં, ત્રણેય આતંકવાદીઓના લશ્કર સાથેના સંબંધની પુષ્ટિ થઈ. NIAએ બંને કાશ્મીરીઓને ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ 1967ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે.
આપણ વાંચો : પહેલગામ આતંકવાદી હુમલો મામેલ NIA ની મોટી કાર્યવાહી, આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોને ઝડપ્યા…