![Order given for random sample survey on rising cases of new variant of Covid](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-26T180228.413.jpg)
નવી દિલ્હી: સિંગાપોર સહિત વિશ્વના વિવિધ દેશોમાં કોવિડના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ કોવિડના નવા વેરિયેન્ટને લઈ ચિંતા વ્યક્ત કરી છે. ભારતમાં પણ આ નવા વેરિયન્ટના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ઘણી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો અને આદેશો જારી કર્યા છે.
હાલ દેશના વિવિધ રાજ્યોમાં એક સપ્તાહ સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે. જોકે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડનું આ બદલાયેલું વેરિયેન્ટ ન તો ખતરનાક છે અને ન તો ચિંતાનો વિષય છે. હાલમાં જૂનના બીજા સપ્તાહમાં રેન્ડમ સેમ્પલ સર્વેના રિપોર્ટના આધારે આગળની રણનીતિ ઘડવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં કોવિડના બદલાયેલા વેરિયન્ટથી પ્રભાવિત દર્દીઓ અને રાજ્યો વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ KP.1 અને KP.2ના લગભગ 325 કેસની માહિતી સામે આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના વિવિધ રાજ્યોમાં નવા વેરિયન્ટ્સ અને સબ-વેરિયન્ટ્સના કેસો પર નજર રાખવા માટે રેન્ડમ સેમ્પલ સર્વે માટે સૂચનાઓ આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે રાજ્યોમાં આવા કેસ નોંધાયા છે, ત્યાં આગામી બે અઠવાડિયા સુધી સઘન દેખરેખ તેમજ નમૂના લેવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે આ વેરિયેન્ટ બિલકુલ ખતરનાક નથી, પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
દેશના વિવિધ રાજ્યોમાં KP.1ના 34 કેસ મળી આવ્યા છે. તેમાંથી સૌથી વધુ 23 કેસ પશ્ચિમ બંગાળમાં મળી આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ પ્રકારના ચાર કેસ નોંધાયા છે. તેવી જ રીતે ગુજરાત અને રાજસ્થાનમાં બે-બે દર્દી મળી આવ્યા છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, આ નવા પ્રકારનો એક-એક દર્દી ગોવા અને હરિયાણા સહિત ઉત્તરાખંડમાં જોવા મળ્યો છે.