દિલ્હી-NCRમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર: વિઝિબિલિટી શૂન્ય થતા જાહેર કરી એડવાઈઝરી0

નવી દિલ્હી: ઉત્તર ભારત હાલમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. રવિવાર રાતથી જ દિલ્હી-એનસીઆર સહિતના મેદાની વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય સુધી પહોંચી ગઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને જોતા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યો માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ કુદરતી આફતની સાથે વધતા જતા પ્રદૂષણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
#WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city.
— ANI (@ANI) December 29, 2025
(Visuals from Dwarka Sector 3 and 6) pic.twitter.com/x3eoVXZpPK
ધુમ્મસની સાથે દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એક વખત ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ રવિવારે મોડી રાત્રે લગભગ 400ને પાર AQI નોંધાયો હતો. નિષ્ણાતોના મતે વર્ષ 2019 પછી આ ડિસેમ્બર સૌથી વધુ પ્રદૂષિત સાબિત થઈ રહ્યો છે. પવનની ગતિ ધીમી હોવાને કારણે પ્રદૂષિત કણો જમીન નજીક જમા થઈ રહ્યા છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે.
ઠંડી અને ધુમ્મસના કહેરને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમામ શાળાઓ 1 જાન્યુઆરી, 2026 સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ જ રીતે નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ વહીવટી તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઠંડીના કારણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Passenger Advisory issued at 05:00 hours.
— Delhi Airport (@DelhiAirport) December 28, 2025
Please click on this link for real-time winter travel updates: https://t.co/KkKldKUlLQ#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/p8nKRyo4yj
ગાઢ ધુમ્મસની સીધી અસર વિમાની અને માર્ગ પરિવહન પર પડી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં CAT III ટેકનોલોજી હેઠળ ફ્લાઈટ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા રદ કરવામાં આવી છે. બીજી તરફ, યમુના એક્સપ્રેસવે અને નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસવે પર શૂન્ય વિઝિબિલિટીને કારણે વાહનોની ગતિ થંભી ગઈ છે અને અકસ્માતનો ભય વધી ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ યથાવત રહેવાની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 1 જાન્યુઆરી સુધી સવાર અને રાત્રિના સમયે ધુમ્મસની અસર જોવા મળશે. નવા વર્ષની શરૂઆત સુધી ઉત્તર ભારતના લોકોને ઠંડી અને પ્રદૂષણના આ બેવડા મારથી રાહત મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.
આપણ વાંચો: ટાટા – એર્નાકુલમ એક્સપ્રેસમાં લાગી આગ, એક મુસાફરનું મોત



