UGCના રડારમાં 89 શૈક્ષણિક સંસ્થાનો: ચાર IIT, ત્રણ IIM સહિતની કોલેજોને રેગિંગ વિરોધી નિયમો ભંગ બદલ નોટિસ

નવી દિલ્હી: દેશની જાણીતી યુનિવર્સિટીની કોલેજમાં વધતી રેગિંગની ઘટનાને ડામવા માટે એન્ટિ રેગિંગ નિયમો અમલ કરવામાં આવ્યો હતો. આ નિયમ તમામ કોલેજ પર લાગુ પડે છે. આ નિયમોથી રેગિંગના દૂષણને જડમૂળમાંથી હટાવવાનો ઉદ્દેશ હતો, પરંતુ હવે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા રેગિંગ વિરોધી નિયમોનું પાલન નહીં કરનારી કોલેજોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને નિયમોનો ભંગ કરવા બદલ નોટિસ પણ ફટકારી છે. જાણીએ કઈ કઈ કોલેજનો સમાવેશ કર્યો છે.
રેગિંગ વિરોધી સોગંદનામું આપ્યું નહીં
આ અહેવાલ પ્રમાણે ભારતની 89 કોલેજને આ નિયમોનું પાલન નહીં કરવા બદલનું કારણ દર્શવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આમાં ચાર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) અને ત્રણ ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (IIM) સહિતની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓએ રેગિંગ વિરોધી સોગંદનામું સમયસર રજૂ ન કરતાં યુજીસીએ કડક વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો: UGC ની મોટી જાહેરાત: હવે એકસાથે કરેલી 2 ડિગ્રી ગણાશે માન્ય, લાખો વિદ્યાર્થીઓને ફાયદો!
નિયમોનું પાલન કરવાની નોટિસ પાઠવી
યુજીસીએ દેશભરની 89 સંસ્થાઓને રેગિંગ વિરોધી નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ મોકલી છે. ડિફોલ્ટર્સની યાદીમાં આઈઆઈટી બોમ્બે, ખડગપુર, પલક્કડ અને હૈદરાબાદ તેમજ આઈઆઈએમ બોમ્બે, રોહતક અને તિરુચિરાપલ્લીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એઈમ્સ રાયબરેલી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની દિલ્હી, આંધ્રપ્રદેશ અને હરિયાણા શાખાઓ પણ આ યાદીમાં છે. આ સંસ્થાઓએ વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ દ્વારા ફરજિયાત રેગિંગ વિરોધી સોગંદનામું રજૂ નહીં કર્યું હોવાનું યુજીસીએ જણાવ્યું છે.
યુજીસી સચિવનું મહત્ત્વનું નિવેદન
યુજીસીના સચિવ મનીષ જોશીએ જણાવ્યું કે અનેક સૂચનાઓ, રેગિંગ વિરોધી હેલ્પલાઇનના ફોલો-અપ અને મોનિટરિંગ એજન્સીના હસ્તક્ષેપ છતાં આ સંસ્થાઓએ રેગિંગ વિરોધી સોગંદનામુ રજૂ કરવામાં નિષ્ફળતા દાખવી છે. તેમણે ઉમેર્યું કે, યુજીસીના 2009ના રેગિંગ વિરોધી નિયમોનું પાલન દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થા માટે ફરજિયાત છે. આ નિયમોનું ઉલ્લંઘન માત્ર યુજીસીના માર્ગદર્શનની અવગણના જ નથી, પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે પણ ચેડા છે, ખાસ કરીને કેમ્પસમાં રેગિંગથી થતી સમસ્યાઓ અને તણાવની વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને.
આ પણ વાંચો: UGC-NET 2025: પરીક્ષાનું સમયપત્રક જાહેર, 25 થી 29 જૂન દરમિયાન યોજાશે…
માન્યતા રદ થવાનો ખતરો
યુજીસીએ ચેતવણી આપી છે કે, જો 30 દિવસમાં આ સંસ્થાઓ નિયમોનું પાલન નહીં કરે તો, અનુદાન અને ફંડિગ બંધ કરવામાં આવશે, જેની અસર રિસર્ચ પ્રોજેક્ટ્સ અને નાણાકીય સહાય પર પડશે. આ ઉપરાંત, સંસ્થાઓની માન્યતા રદ કે સંલગ્નતા પાછી ખેંચવામાં આવી શકે છે.
ડિફોલ્ટર્સમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER) હૈદરાબાદ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, નાલંદા યુનિવર્સિટી, ઈગ્નો અને ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિ્ટ્યૂટ, કોલકાતા જેવી સંસ્થાઓ પણ સામેલ છે. રેગિંગ વિરોધી નિયમો અનુસાર, દરેક વિદ્યાર્થી અને તેમના વાલીએ પ્રવેશ સમયે અને દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં સોગંદનામું આપવાનું ફરજિયાત છે.