લોકસભા માટે નીતિશની ‘એકલા ચલો રે’ની નીતિ, INDIA ગઠબંધનથી અલગ રેલીઓનું આયોજન

પટણા: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે બિહારમાં પણ મુખ્ય શાસક પક્ષ JDUએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. આગામી દિવસોમાં બિહારમાં મોટાપાયે JDU દ્વારા રેલીઓનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મુખ્યપ્રધાન નીતિશ કુમાર સહિત અનેક JDUના કાર્યકરો ભાગ લેશે. બિહાર સિવાય અન્ય રાજ્યોમાં પણ રેલીઓ યોજાશે. જો કે આ તમામ રેલીઓ INDIA ગઠબંધનથી અલગ થઇને યોજવામાં આવી રહી છે, જેમાં ફક્ત JDUને લાગતા વળગતા લોકો જ સામેલ થશે.
એ વાતમાં કોઈ બેમત નથી કે બિહારના સીએમ નીતીશ કુમારે જ રાષ્ટ્રીય સ્તરે મોટાભાગના વિરોધપક્ષોને એક છત હેઠળ લાવવામાં અને INDIA ગઠબંધન સાથે તેમનું જોડાણ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ હવે એ સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે INDIA ગઠબંધન આકાર પામી ચૂક્યું છે તો પછી JDU એકલા જવાની રણનીતિ પર કેમ આગળ વધી રહી છે.
ગત 24 નવેમ્બરે JDUએ પટનાની વેટરનરી કોલેજમાં ભીમ સંસદનું આયોજન કર્યું હતું. રાજ્યની દલિત મતબેંકને આકર્ષવા માટે આ રેલી યોજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને આ રેલીમાં લોકોની ભારે ભીડ પણ એકઠી થઇ ગઇ હતી. એ પછી JDUના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે.
એવું પણ માનવામાં આવે છે કે આ રેલીનો હેતુ JDUના સાથી પક્ષોને તેમની તાકાતનો અહેસાસ કરાવવાનો હતો. આ પછી JDU નેતા નીતિશ કુમાર 24 ડિસેમ્બરે યુપીના વારાણસીમાં રેલી કરવાના હતા. જો કે આ રેલી હાલ પૂરતી રદ્દ કરવામાં આવી છે, પરંતુ JDU નેતાઓએ ટૂંક સમયમાં યુપીમાં પણ રેલી યોજવાની જાહેરાત કરી છે. એ પછી JDU આવતા વર્ષે 2024માં 21 જાન્યુઆરીએ ઝારખંડના રામગઢમાં અને પછી 24 જાન્યુઆરીએ પટનાના વેટરનરી ગ્રાઉન્ડમાં રેલીનું આયોજન કરવા જઈ રહી છે, પરંતુ આ તમામ રેલીઓ INDIA ગઠબંધનથી અલગ હશે.
આગામી ચૂંટણીમાં પાર્ટી દેશના રાજકારણ પર પોતાની પકડ જમાવવાનો પૂરો પ્રયાસ કરશે. જો કે, તેમનું એમ પણ કહેવું છે કે નીતીશ RJDમાં જોડાયા પછી ઘણા પ્રસંગોએ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. તેઓ હાલ પણ પાર્ટીનું કદ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી જ્યારે સમય આવે ત્યારે કોઈ મોટો નિર્ણય પણ લઈ શકાય. જો કે નીતિશ કુમાર બિહારના રાજકારણના એક ધુરંધર ખેલાડી છે, અને તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ત્યારે આવી સ્થિતિમાં એકલા હાથે આગળ વધવાની રણનીતિનું શું પરિણામ આવશે તે તો સમય જ કહેશે.