ભારતના સુન્ની મુસ્લિમ આગેવાને યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી અટકાવી! જીવનદાન પણ અપાવી શકશે?

નવી દિલ્હી: યમનમાં હત્યાના કેસના દોષી ઠરેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને આવી કાલે 16મી જુલાઈના રોજ મૃત્યુદંડ આપવામાં આવનાર હતો, એવામાં આજે સમાચાર મળ્યા કે અચાનક નિમિષાની સજા મુલતવી રાખવામાં આવી (Nimisha Priya Execution postponed) છે. ગઈ કાલે જ્યારે ભારત સરકારે જણાવ્યું હતું કે નિમિષાને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ત્યારે અચનાક સજા મુલતવી રહેવાના સમાચાર મળતા ઘણી અટકળો વહેતી થઇ છે. એક અહેવાલ મુજબ ભારતના ‘ગ્રાન્ડ મુફ્તી'(Grand Mufti of India)ના હસ્તક્ષેપને કારણે સજા પર હાલ પુરતી રોક લગાવવામાં આવી છે.
અહેવાલ મુજબ ભારતના સુન્ની મુસ્લિમ નેતા કંથાપુરમ એપી અબુબકર મુસલિયાર(Kanthapuram AP Aboobacker Musliyar)એ નિમિષા પ્રિયાના કેસમાં હસ્તક્ષેપ કર્યો હતો, જેઓ ‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ તરીકે ઓળખવામાં આવે છે. કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાના કેસમાં મૃત્યુદંડ સંભળાવવામાં આવ્યો હતો.

યમનના સુફી નેતા સાથે વાતચીત:
એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ મુજબ, ભારતના સુન્ની મુસ્લિમ નેતા યમનના એક સૂફી વિદ્વાન શેખ હબીબ ઉમર બિન હાફિઝની મદદથી કેરળની નર્સની ફાંસી રોકવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે. યમનના સૂફી નેતા શેખ હબીબ ઉમર બિન હાફિઝના પ્રતિનિધિઓ આજે મૃતક તલાલ અબ્દો મહદીના પરિવારના પ્રતિનિધિને મળશે.
મૃતકના પરિવારને મનાવવાનો પ્રયાસ:
પરિવારને ‘બ્લડ મની’ સ્વીકારવા માટે મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. યમનના કાયદા મુજબ જો પીડિતનો પરિવાર રકમ સ્વીકારે તો દોષિતની સજા માફ કરી શકાય છે. અહેવાલ મુજબ નિમિષા પ્રિયાના પરિવારે આ કેસમાં માફી મેળવવા માટે મૃતકના પરિવારને ₹8.6 કરોડની ઓફર કરી છે.
અહેવાલ મુજબ, આ માટે વાતચીત મહદીના ધમારમાં થશે અને તેના પરિવાર તરફથી એક પ્રતિનિધિ હાજર રહેશે. અહેવાલ મુજબ પરિવારનો પ્રતિનિધિ રાજ્ય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને યેમેની શુરા કાઉન્સિલના સભ્ય પણ છે.
કંથાપુરમના કાર્યાલયને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, “તેઓ શેખ હબીબ ઉમરના અનુયાયી છે અને બીજા એક અગ્રણી સૂફી નેતાના પુત્ર છે, જેને કારણે આશા વધી છે. પરિવારને સમજાવવાની સાથે, તે આવતીકાલે અપાનાર ફાંસી મુલતવી રાખવા માટે તાત્કાલિક પ્રયાસો શરૂ કરવા માટે એટર્ની જનરલને પણ મળશે.”