નહેરૂના પત્રોમાં એવું શું છે જેને મ્યુઝિયમને સોંપવાનો સોનિયા ગાંધી કરી રહ્યા છે ઈનકાર

નવી દિલ્હી: ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનને તેમના નિધન બાદ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. 2023માં તેનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં હવે તમામ પ્રધાનમંત્રીઓની વિરાસતને સાચવવામાં આવશે, પરંતુ જવાહરલાલ નહેરૂના પત્રોના કારણે તેનું કામ અટક્યું છે.
કોની પાસે છે જવાહરલાલ નહેરૂના પત્રો?
1971માં જવાહરલાલ નહેરૂના દીકરી અને તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ પિતાના પત્રોને નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીને આપ્યા હતા. પરંતુ 2008માં યુપીએની સરકારના સમયગાળામાં આ પત્રો તત્કાલિન કૉંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીને સોંપવામાં આવ્યા હતા. હવે જ્યારે ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’ તમામ વડા પ્રધાનને લગતી વસ્તુઓ એકઠી કરી રહી છે, ત્યારે જવાહરલાલ નહેરૂના પત્રોની સોનિયા ગાંધી પાસે માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસ: નહેરૂ-ગાંધી ખાનદાન દૂધે ધોયેલો નથી
‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’એ કરી પત્રોની માંગણી
‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’એ 2024માં સોનિયા ગાંધીને પત્ર લખીને જવાહરલાલ નહેરૂના પત્રોની માંગણી કરી હતી. પરંતુ સોનિયા ગાંધી તરફ રોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી, તેથી ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’ના સભ્ય રિઝવાન કાદરીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને પણ આ અંગે વાત કરી હતી કે, જવાહરલાલ નહેરૂને લગતા દસ્તાવેજો તથા પત્રોના 51 ડબ્બા પાછા આપવામાં આવે. તેને જોવાની તથા સ્કેન કરવાની મંજૂરી આપવામાં આવે અથવા તેની એક કોપી આપવામાં આવે જેથી તેનો અભ્યાસ કરી શકાય. પરંતુ રાહુલ ગાંધી તરફથી પણ કોઈ પ્રતિસાદ નહીં મળવાને કારણે ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’એ કાયદાકીય રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : રાહુલ વિદેશી નાગરિક છે એવું સાબિત કોણ કરે?
સોનિયા ગાંધીની આનાકાનીનું શું કારણ હોઈ શકે?
આજના સમયમાં સોશિયલ મીડિયા આવી ગયું છે. ઈન્દિરા ગાંધીએ જ્યારે જવાહરલાલ નહેરૂના પત્રો મ્યુઝિયમમાં આપ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા ન હતું. આજે કોઈ પણ જૂના વિવાદે નહેરૂ સાથે જોડી દેવામાં આવે છે. ત્યારે સોનિયા ગાંધીને જવાહરલાલ નહેરૂના પત્રો સોશિયલ મીડિયા પર લીક થવાની તથા રાજકીય દુરૂપયોગ થવાની આશંકા હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે પોતાના કાર્યકાળ દરમિયાન જવાહરલાલ નહેરૂએ એડવિના માઉન્ટ બેટન, આલબર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, અરૂણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત જેવી અનેક જાણીતી હસ્તીઓને પત્રો લખ્યા હતા.