નેશનલ

ભારત – પાકિસ્તાન તણાવ પર રાજ ઠાકરેએ લીધો મોટો નિર્ણય, જાણો વિગત

મુંબઈઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત – પાકિસ્તાન તણાવ વધ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદેન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે , હાલ ભારતીય સેના અને ભારતીય નાગરિકો માટે પ્રાર્થના કરવામાં આવે તે જરૂરી છે. અન્ય વિષયો અંગે બાદમાં પણ વાત કરી શકાય છે.

રાજ ઠાકરેને એક કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. મહારાષ્ટ્રની રાજનીતિને ધ્યાનમાં રાખીને પુણેમાં એક સ્પેશિયલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે તેમને ઈન્ટરવ્યૂમાં જવાનું યોગ્ય ન લાગ્યું.

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, એક ખાનગી ચેનલે મારી લાગણીને ધ્યાનમાં રાખીને ઈન્ટરવ્યૂ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ ઠાકરેએ એક્સ પર લખ્યું, શનિવાર, 10 મેના રોજ એક ન્યૂઝ ચેનલે પુણેમાં મને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. દેશની સરહદ પર જ્યારે તણાવ હોય ત્યારે ઈન્ટરવ્યૂ કે ચેટ જેવા કાર્યક્રમ કરવા યોગ્ય ન હોવાનું મને લાગ્યું હતું. તેથી મેં મારી ભાવના સંપાદકીય ટીમને જણાવી હતી. તેમણે તેનું સન્માન કરીને ઈન્ટરવ્યૂ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત તેમણે લખ્યું, હાલ સમગ્ર દેશ એકજૂથ થઈને ભારતીય સેના અને સરહદી વિસ્તારોમાં ભારતીય નાગરિકો માટે પ્રાર્થના કરી રહ્યો છે. તેથી હું તમામ સંબંધિત લોકોને ઈન્ટરવ્યુ સ્થગિત કરવામાં આવ્યો હોવાની વાત ધ્યાને લેવા વિનંતી કરું છું. બાદમાં આપણે તમામ વિષયો પર વિસ્તારથી ચર્ચા કરીશું.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં પાકિસ્તાન તેની નાપાક હરકત બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને ફરી ભારતનાં 26 જેટલા સ્થળો પર હુમલો કર્યો હતો અને ભારતીય સેનાએ આ વખતે પણ કોશિશ નિષ્ફળ બનાવી હતી.

આ પણ વાંચો…‘હવે હુમલા બંધ કરો, બાળકો મરી રહ્યા છે’, મહેબૂબા મુફ્તીએ શાંતિ માટે અપીલ કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button