PNB Scam Case: મેહુલ ચોક્સી હવે ઍન્ટિગુઆમાં નથી, વિદેશ પ્રધાને આપી માહિતી | મુંબઈ સમાચાર

PNB Scam Case: મેહુલ ચોક્સી હવે ઍન્ટિગુઆમાં નથી, વિદેશ પ્રધાને આપી માહિતી

ઍન્ટિગુઆઃ ઍન્ટિગુઆ અને બારબુડાના વિદેશ પ્રધાન ચેટ ગ્રીને સૌથી મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે ભારતીય ઉદ્યોગતપતિ મેહુલ ચોકસી હવે ઍન્ટિગુઆમાં નથી. મેહુલ ચોક્સી સારવાર માટે બહાર ગયા છે અને ગ્રીને કહ્યું હતું કે તેમના કિસ્સામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.

આ કેસમાં કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી તેમ જ દેશના સીઆઈપી (સિટિઝનશિપ ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ) વિશ્વસનીય છે અને એમાં અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવે છે, એમ એન્ટીગુઆના પ્રધાને જણાવ્યું હતું.

આ કેસમાં એક-બે વખત સવાલો કરવામાં આવ્યા છે, પરંતુ ચોકસીના કેસમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જ્યારે ચોક્સીને જ્યારે નાગરિકતા આપવામાં આવી ત્યારે તપાસમાં એ પણ સાબિત થયું હતું કે ભારત અને અન્ય બીજા કોઈ દેશના કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.

આપણ વાંચો: PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીની રૂ. 2,566 કરોડની સંપત્તિની થશે નિલામી

એના પછી પણ તેની પ્રક્રિયાઓમાં કોઈ ગરબડ કરી નથી, પરંતુ આ તો સમયનો ખેલ છે. ગ્રીને કહ્યું હતું કે સરકાર મિત્ર દેશોની સાથે કામ કરવાનું ચાલુ રાખશે. ઍન્ટિગુઆએ અનેક આંતરરાષ્ટ્રીય સંધિઓ અને સમજૂતી-કરાર પર હસ્તાક્ષરો કર્યાં છે, જે દેશની સાર્વભૌમત્વનો આદર કરે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે જેમ તેઓ બીજાઓ પાસેથી તેમના સાર્વભૌમત્વનો આદર કરવાની અપેક્ષા રાખે છે તો તેઓ પણ અન્ય દેશોના સાર્વભૌમત્વનું સન્માન કરે છે. અહીં એ જણાવવાનું કે મેહુલ ચોકસીએ 2017માં ઍન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા લીધી હતી. 14,500 કરોડ રુપિયાના પીએનબી બેંકના કૌભાંડના આરોપી 2018માં વિદેશમાં ભાગી ગયા હતા. પીએનબી કૌભાંડની તપાસ કરનારી એજન્સીએ ચોક્સીના પ્રત્યર્પણ માટે ચક્રો ગતિમાન કર્યાં હતા.

Back to top button