TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યા બીજા લગ્ન? જાણો કોણ છે તેમના ‘જીવનસાથી’ પિનાકી મિશ્રા

કોલકાતા: સંસદમાં સરકાર સામે ધારદાર ભાષણ આપવા માટે જાણીતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા લગ્ન બંધને જોડાયા છે, અહેવાલ મુજબ તેમણે બીજુ જનતા દળ(BJD)ના નેતા અને પૂર્વ સાંસદ પિનાકી મિશ્રાને સાથે જર્મનીમાં લગ્ન (Mahua Moita Pinaki Mishra marriage) કર્યા છે. જોકે લગ્ન અંગે મહુઆ કે પિનાકી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક તસવીરમાં બંને લગ્નના પોશાકમાં સાથે જોવા મળી રહ્યા છે.
એક અખબારી અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળની કૃષ્ણા નગર બેઠક લોકસભાના 50 વર્ષીય સાંસદ મહુઆ મોઇત્રા અને ઓડીશાના પુરીથી લોકસભા સાંસદ રહી ચુકેલા 65 વર્ષીય રાજકારણી પિનાકી મિશ્રાને જર્મનીમાં શાંતિપૂર્ણ રીતે લગ્ન કર્યા હતાં. અત્યાર સુધી તૃણમુલ કોંગ્રેસ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
50 વર્ષીય મહુઆ મોઇત્રાએ અગાઉ ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે લગ્ન કર્યા હતાં, બાદમાં બંનેના છૂટાછેડા થઇ ગયા હતાં. વકીલ જય અનંત દેહદરાય સાથે પણ મહુઆ મોઇત્રાના સંબંધ હોવાની ચર્ચા હતી.
મહુઆ મોઇત્રાની રાજકીય સફર:
મહુઆ મોઇત્રાનો જન્મ 12 ઓક્ટોબર, 1974ના રોજ આસામમાં થયો હતો. મહુઆએ તેની કારકિર્દીની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કરી હતી અને બાદમાં 2010માં મમતા બેનર્જીની પાર્ટીમાં જોડાયા હતાં.
તેમણે વર્ષ 2019માં પશ્ચિમ બંગાળની કૃષ્ણા નગર લોકસભા બેઠક પર ચૂંટણી લડી હતી, તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. મહુઆ બીજી વખત વર્ષ 2024માં એ જ બેઠક પરથી ચૂંટાયા હતા, તેમણે ભાજપના ઉમેદવાર અમૃતા રોયને હરાવ્યા હતા.
કોણ છે પિનાકી મિશ્રા?
બીજુ જનતા દળ(BJD)ના નેતા પિનાકી મિશ્રા પુરીથી લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. લોકસભાના ડેટા અનુસાર, પિનાકીના પહેલા લગ્ન સંગીતા મિશ્રા સાથે થયા હતા. પિનાકી અને સંગીતાના લગ્ન 16 જાન્યુઆરી 1984 ના રોજ થયા હતા. તેમના બે બાળકો પણ છે, પરંતુ બાદમાં તેમણે છુટાછેડા લીધા હતાં.
તેઓ એક અનુભવી રાજકારણી અને વરિષ્ઠ વકીલ છે. તેમણે સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસમાં બીએ (ઓનર્સ) અને દિલ્હી યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીમાંથી એલએલબીની ડિગ્રી પણ મેળવી છે.
મિશ્રાએ પોતાની રાજકીય સફર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી શરૂ કરી હતી, 196માં પુરી લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી. બાદમાં તેઓ નવીન પટનાયકના બીજુ જનતા દળમાં જોડાયા હતા અને 2009, 2014 અને 2019માં જીત મેળવી હતી.
આ પણ વાંચો….પશ્ચિમ બંગાળમાં PM મોદીના TMC પર પ્રહાર: મુર્શિદાબાદની ઘટના ‘શરમજનક’, રાજ્ય સરકાર ‘નિર્મમ’