ઉત્તર પ્રદેશની રાજધાનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના! સરકારી બસ ખીણમાં ખાબકી, 5 જણના મોત

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ફરી એક દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુપીની રાજધાની લખનઉમાં હરદોઈથી લખનઉ આવતી એક સરકારી બસને ગંભીર અકસ્માત નડ્યો છે. આ સરકારી બસ અચાનક પટલી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બસ કૈસરબાગ ડેપોની બસ હરદોઈથી લખનઉ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે ટેન્કરની ટક્કર બાદ બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને બસ ખીણમાં પડી ખાબકી હતી.
અનેક લોકો બસ નીચે દબાઈ ગયાં હતાંઃ સૂત્ર
લખનઉ બસ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકો બસ નીચે દબાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં સત્વરે પહોંચી ગઈ હતી. અત્યારે પોલીસ અને સ્થાનિકો લોકોને બહાર કાઢવા માટે બચાવકામગીરી કરી રહ્યાં છે. આ દુર્ઘટના કાકોરીના ગોલા કુઆનમાં બની હતી.જ્યા બસ બેકાબૂ થતા ખીણમાં પલટી ગઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે, બસ નીચે ઘણા લોકો ફસાયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યારે સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
યોગી આદિત્યનાથે આ સમગ્ર ઘટના અંગે નોંધ લીધી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.હોસ્પિટલમાં પણ અનેક લોકોની હાલત વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.એટલું જ નહીં પરંતુ એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સીએમ યોગીએ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી અને તંત્રને રાહત કામગીરી કરવા માટે આદેશ આપી દીધા છે. આ સાથે ઘાયલોની સારવાર કરવા માટે પણ આદેશ આપ્યાં છે.સીએમ યોગી આદિત્યનાથે મૃતકો માટે શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલો સત્વરે સાજા થયા તેવી પ્રાર્થના પણ કરી છે.