Loksabha Elections: મતદારોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણી પંચની મોટી જાહેરાત, આ સંસ્થાઓની મદદ લેશે

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી (Loksabha Elections)માં મતદાનની ટકાવારી વધારવાના તેના પ્રયાસોના ભાગરૂપે મતદાર જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India)એ સોમવારે બેંકો અને પોસ્ટ ઑફિસની મદદ લેવાનો નિર્ણય લીધો છે.
અગાઉની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદાન મથકો પર ઘણા નોંધાયેલા મતદારો ન આવતાં મતદાન પેનલે ઘણીવાર શહેરી મતદારો અને યુવાનોની ઉદાસીનતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અગાઉની સંસદીય ચૂંટણીમાં ૯૧ કરોડ મતદારોમાંથી ૩૦ કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું ન હતું.
ચૂંટણી પંચે સોમવારે બે અગ્રણી સંસ્થાઓ – ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ – સાથે લોકસભા ચૂંટણી માટે તેના મતદાર આઉટરીચ અને જાગૃતિના પ્રયાસોને આગળ વધારવા માટે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
મતદાન પેનલે જણાવ્યું હતું કે આ પહેલ, દેશમાં ચૂંટણીલક્ષી જાગૃતિ વધારવાના તેના પ્રયાસોના સિલસિલામાં છે. ચૂંટણી પંચે તાજેતરમાં શાળાઓ અને કોલેજોના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ચૂંટણી સાક્ષરતાને ઔપચારિક રીતે એકીકૃત કરવા માટે શિક્ષણ મંત્રાલય સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.