ડાયાલિસિસ વખતે વીજળી ગુલ, ડીઝલ વિના જનરેટર બંધ, દર્દીનું કરુણ મોત! UPમાં તંત્રની બેદરકારી

બિજનૌર: ઉત્તર પ્રદેશનાં આરોગ્ય તંત્રમાં ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો બન્યો છે. બિજનૌર જિલ્લા હોસ્પિટલમાં કિડનીના દર્દીની ડાયાલિસીસ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક વીજ પુરવઠો થપ્પ થઇ ગયો હતો અને હોસ્પિટલના જનરેટર પણ શરુ ન થયું, જેના કારણે મશીન અટકી જતાં દર્દીનું મૃત્યુ (Patient died in UP during Dialysis) થયું હતું. બાદમાં જાણવા મળ્યું કે હોસ્પિટલના જનરેટરમાં ડીઝલ ન હતું.
એક અખબારી અહેવાલ મુજબ ફુલસંડા ગામનો રહેવાસી 26 વર્ષીય સરફરાઝ અહમદ કિડનીની બીમારીથી પીડાતો હતી. તેને ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, મશીન દ્વારા ડાયાલિસિસ દરમિયાન વીજળી ગુલ થઈ ગઈ હતી.
મૃતક સરફરાઝની માતાએ અખબારને જણાવ્યું, “જ્યારે વીજળી ગુલ થઈ ગઈ, ત્યારે મશીન અધવચ્ચે જ બંધ થઈ ગયું અને સરફરાઝનું લગભગ અડધું લોહી મશીનમાં જ ફસાઈ ગયું. મેં સ્ટાફને જનરેટર શરૂ કરવા કહ્યું, પરંતુ તેમણે કોઈએ મદદ ન કરી. મારા દીકરાનું તરત જ મૃત્યુ થયું.”
હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટેડ કંપનીએ ડીઝલ પૂરું પાડ્યું ન હોવાથી જનરેટર શરુ થઇ શક્યું નહીં અને સારવાર અટકી પડી. હોસ્પિટલ સ્ટાફેઆરોપ લગાવ્યો કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ યુનિટ ચલાવતી ખાનગી કંપની ડીઝલ સપ્લાય કરી શકી ન હતી.
હોસ્પિટલમાં ગેરવહીવટ અને ગંદકી:
આ સમયે CDO પૂર્ણા બોરાહ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા હતાં. તેમણે અન્ય પાંચ દર્દીઓને વીજળી, લાઇટ કે પંખા વગર પડેલા જોયા હતાં.
જીલ્લા મેજીસ્ટ્રેટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તમામ ડાયાલિસિસ-યુનિટ રેકોર્ડ જપ્ત કર્યા હતા અને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું, “યુનિટમાં ગેરવહીવટ અને ગંદકી જોવા મળી હતી. એજન્સી સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુમાં, તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.”
આ પણ વાંચો - સોનમ-રાજાના કેસ વચ્ચે આવી ઘટના પણ બને છેઃ બૉયફ્રેન્ડે આ રીતે નિભાવ્યો વાયદો
જો કે તબીબી નિષ્ણાતો એ જણાવ્યું હતું કે ડાયાલિસીસ દરમિયાન દર્દીનું ખુબ ઓછું લોહી મશીનની અંદર હોય છે. એક ડૉક્ટરે જણાવ્યું, “હેમોડાયલિસીસ દરમિયાન, લગભગ 200 થી 250 મિલી – લોહી સમયે મશીનમાંથી ફરતું હોય છે. જો કે, અચાનક વીજળી બંધ થવાથી પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓ મુશ્કેલી પડી શકે છે.”