
નવી દિલ્હી: માર્ચ મહિનો પૂરો થાય એટલે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ વર્ષે ઈન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવીને 15 સપ્ટેમ્બર કરી છે. ITR ફાઇલ થઈ જાય પછી લોકો રિફંડની રાહ જોતા હોય છે. ઘણીવાર રિટર્ન ફાઈલ કર્યાના થોડા દિવસોમાં રિફંડ મળી જાય છે, જ્યારે ઘણીવાર રિફંડ મળવામાં મોડું થઈ જાય છે. ત્યારે રિફંડ મળવામાં મોડું થવાના કારણો અને તેનાથી બચવાનો ઉપાય શું છે? આવો જાણીએ.
10 દિવસમાં શરૂ થઈ જાય છે ITRની પ્રોસેસ
મીડિયા સાથે વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગથી રિફંડ પ્રક્રિયા હવે પહેલા કરતા ઘણી ઝડપી બની ગઈ છે. પહેલા રિફંડ મળવામાં સરેરાશ 93 દિવસનો સમય લાગતો હતો. આ સમયગાળો હવે ઘટીને 10 દિવસ થઈ ગયો છે. પરંતુ આ સરેરાશ સમય છે. તેથી દરેક ITR 10 દિવસમાં પ્રોસેસ થાય તે જરૂરી નથી.
નિષ્ણાતોના મતાનુસાર, ITR ફાઇલ કર્યા પછી રિફંડની પ્રક્રિયા સામાન્ય રીતે 20 દિવસમાં શરૂ થાય છે. જો કે, આકારણી વર્ષ પૂરું થયા પછી 9 મહિના સુધી રિફંડ મળી શકે છે. તેથી જો તમે સમયસર ITR ફાઇલ કરો છો, તો રિફંડમાં મોડું થવાની શક્યતા ઓછી છે.
ITR રિફંડમાં મોડું થવાના કારણો
ITR ફાઇલ કરી દીધું એટલે કામ પૂરૂ થઈ ગયું એવું હોતું નથી. ITR ફાઇલ કર્યા પછી તેનું ઇ-વેરિફિકેશન થવું જરૂરી છે. ઇ-વેરિફિકેશન થયા વગર રિટર્ન પ્રોસેસ થતું નથી. જેથી રિફંડ અટકી જાય છે. ઇ-વેરિફિકેશન બાદ રિફંડમાં 4-5 અઠવાડિયા લાગી શકે છે. રિફંડમાં મોડું થવાના બીજા પણ કેટલાક કારણો છે.
- જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક ન હોય, તો રિફંડ પ્રક્રિયા બંધ થઈ શકે છે.
- જો આવકવેરા વિભાગ કોઈ માહિતી માંગે છે અને તમે જવાબ ન આપો, તો રિફંડમાં વિલંબ થઈ શકે છે.
- જો તમે ફાઇલ કરેલી આવક અને TDSમાં કોઈ ભૂલ કરી હોય, તો રિફંડ અટકી શકે છે.
- ખોટા બેંક એકાઉન્ટ નંબર અથવા IFSC કોડને કારણે રિફંડ પણ અટકી શકે છે.
સમયસર ITR રિફંડનો ઉકેલ શું છે?
જો તમે ઇચ્છો છો કે, રિફંડમાં મોડું ન થાય તો સમયસર ITR ફાઇલ કરો અને તે તાત્કાલિક ઇ-વેરિફાય થઈ જાય તથા પાન-આધાર લિંકિંગ, બેંક વિગતો સાચી અને ટીડીએસ મેચિંગ છે કે નહીં તે સુનિશ્ચિત કરો. સાથોસાથ ઇન્કમટેક્સ વિભાગના ઇમેઇલ્સ અને સૂચનાઓ પર પણ નજર રાખો અને સમયસર જવાબ આપો. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમને તમારું રિફંડ ઝડપથી મળી શકશે.