ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેદારનાથ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરાઈ

દેહરાદૂન : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘણા હેલિકોપ્ટર અને હોટેલ બુકિંગ રદ થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં શનિવારે સરહદ પર પરિસ્થિતિ વધુ તંગ બની છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાનો પ્રારંભ આ મહિનાની શરૂઆતમાં જ થયો છે.
પાકિસ્તાને 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.પાકિસ્તાને મોડી રાત્રે ફતહ મિસાઇલનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જેને સિરસા નજીક ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી.
ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. જોકે, વહેલી સવારે થયેલા અનેક વિસ્ફોટો રહેણાંક વિસ્તારોમાં થયા હોવાના અહેવાલ છે. ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરીને અનેક હુમલા કર્યા હતા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તે બધા હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.
આ પણ વાંચો…ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરક્ષા કારણોસર 32 એરપોર્ટ બંધ કરાયા