ભારતની આઠમી ડિજિટલ વસ્તી ગણતરી 2026: પહેલા તબક્કાની શું વિશેષતા હશે?

નવી દિલ્હી: ભારત સરકારે 2026ની જનગણનાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે જનગણના ડિજિટલ માધ્યમથી થશે. આ ઉપરાંત આ વખત જનગણના બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. જેમાં પ્રથમ ચરણમાં મકાન યાદી તૈયાર કરવામાં આવશે આ પ્રક્રિયા 1 એપ્રિલ, 2026થી શરૂ થશે. આ ઉપરાંત, આ વખતે જાતિગત આંકડાઓ પણ એકત્રિત કરવામાં આવશે, જે લાંબા સમયથી રાજકીય અને સામાજિક સંગઠનોની માંગ હતી. આ જનગણના દેશની 16મી અને સ્વતંત્રતા બાદ 8મી જનગણના હશે, જેમાં 34 લાખથી વધુ ગણનાકારો અને પર્યવેક્ષકો ભાગ લેશે.
કેટલા તબક્કામાં ગણતરી કરાશે
રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયુક્ત મૃત્યુંજય કુમાર નારાયણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે પહેલા તબક્કામાં 1 એપ્રિલ, 2026થી શરૂ થશે, જેમાં મકાન યાદી અને આવાસ જનગણના હાથ ધરાશે. આ તબક્કામાં ઘરની સ્થિતિ, સુવિધાઓ અને સંસાધનોની માહિતી એકત્રિત કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો પહેલી ફેબ્રુઆરી, 2027થી શરૂ થશે, જેમાં વ્યક્તિગત સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક માહિતી લેવામાં આવશે.
મકાનનું સૂચીકરણ એટલે શું?
મકાન સૂચીકરણ દરમિયાન ઘરની દીવાલ, છત કે ફર્શ કઈ સામગ્રીની બનેલી છે, ઘરમાં કેટલાં રૂમ છે, કેટલાં લોકો રહે છે, શું ઘરનો મુખ્ય વ્યક્તિ મહિલા છે કે અનુસૂચિત જાતિ/જનજાતિનો છે, જેવી માહિતી લેવામાં આવશે. આ ઉપરાંત, ઘરમાં મોબાઇલ, ટીવી, રેડિયો, ઇન્ટરનેટ, વાહનો (સાઈકલ, સ્કૂટર, કાર), રસોઈ માટે વપરાતા ઇંધણ (એલપીજી, લાકડું, ગોબર), પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલય, નહાવાની અને રસોઈની સુવિધાઓ તેમ જ ઘરમાં લાઈટનો સ્ત્રોત કયો છે. તેવી વિવિધ માહિતી એકઠી કરવામાં આવશે.
1.3 લાખથી વધુ અધિકારી નિયુક્ત કરાશે
આ વખતે જનગણના સંપૂર્ણ ડિજિટલ રીતે થશે, જેમાં મોબાઇલ એપનો ઉપયોગ થશે. લોકોને સ્વ-જનગણનાની સુવિધા પણ આપવામાં આવશે. આ કામ માટે 34 લાખથી વધુ ગણતરી કરનારા અને પર્યવેક્ષકો તેમ જ 1.3 લાખથી વધુ જનગણના અધિકારી નિયુક્ત થશે. રાજ્યો અને જિલ્લા વહીવટને ગણતરી કરનારાની નિમણૂક અને કામકાજનું આયોજન જલદી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.