પાકિસ્તાન પર ભારતનું સ્પષ્ટ વલણ: ગોળીબાર કરશો તો જડબાતોડ જવાબ મળશે

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જો કે આ મુદ્દે વિપક્ષ સતત સરકારને ત્રીજા પક્ષની મધ્યસ્થતાના મુદ્દે ઘેરી રહ્યું છે, તેની સામે સરકાર સતત કહી રહી છે કે આ મુદ્દે કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી. આ મુદ્દે વિદેશ પ્રધાન એસ. જયશંકરે ફરી એકવાર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ નથી, અને પાકિસ્તાન જ્યાં સુધી ગોળીબાર બંધ નહીં કરે ત્યાં સુધી ભારત જડબાતોડ જવાબ આપતું રહેશે.
પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળતો રહેશે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેતા એસ. જયશંકરે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ દેશે ભારતને આ મુદ્દે પૂછ્યું છે ત્યારે અમે માત્ર એટલું જ કહ્યું છે કે, “જો તે (પાકિસ્તાન) ગોળીબાર કરશે તો અમે પણ ગોળીબાર કરીશું, અને જો તેઓ અટકશે તો જ અમે અટકીશું.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે તમામ દેશોને જણાવી દીધું છે કે, જો પાકિસ્તાન નહીં અટકે તો તેને જડબાતોડ જવાબ મળતો રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટતા
ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન પર કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો, વિદેશ પ્રધાને જણાવ્યું કે યુદ્ધવિરામબંને દેશોના મિલિટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ (DGMOs) વચ્ચેની વાતચીતથી થયો હતો, જેમાં કોઈ દેશની કોઈ ભૂમિકા નહોતી. તેમણે સભ્યોને જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ના પ્રથમ તબક્કા પછી જ્યારે યુએસ સેક્રેટરીએ પાકિસ્તાન દ્વારા મોટા હુમલાની શક્યતા વિશે જણાવ્યું, ત્યારે ભારતે જવાબ આપ્યો કે જો પાકિસ્તાન મોટો હુમલો કરશે તો અમે પણ તેનાથી મોટો હુમલો કરવા તૈયાર છીએ.
‘ઓપરેશન સિંદૂર’ પર વિવાદ અને માહિતીની સ્પષ્ટતા
પોતાના નિવેદન પર ઉભા થયેલા વિવાદ પર જયશંકરે ફરીથી ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનને આપવામાં આવેલી માહિતી પર સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ જેટલો સમય ચાલ્યું, તેના થોડા સમય પછી જ પાકિસ્તાનને માહિતી આપી દેવામાં આવી હતી કે ભારત તરફથી માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિદેશ પ્રધાને સમિતિના સભ્યોને અપીલ કરી કે જો તેમને કોઈ માહિતી જોઈતી હોય તો તેઓ સીધા સરકાર સાથે વાત કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ મુદ્દે મીડિયામાં જઈને ‘ઓપરેશન સિંદૂર’ પર સવાલ ન ઉઠાવવા જોઈએ, કારણ કે તેનાથી વાતાવરણ બગડે છે, પાકિસ્તાનને તક મળે છે, અને સૌથી મહત્વની વાત એ છે કે ‘ઓપરેશન સિંદૂર’ હજી સમાપ્ત થયું નથી.પાકિસ્તાન પર ભારતનું સ્પષ્ટ વલણ: ગોળીબાર કરશો તો જડબાતોડ જવાબ મળશે.
આ પણ વાંચો…બિહારના રાજકારણમાં ગરમાવો, પીએમ મોદીને મળ્યા બાદ નીતિશ કુમાર સીધા પાર્ટી ઓફિસ પહોંચ્યા