ટ્રેનની રિટર્ન ટ્રીપ બૂક કરાવવા બદલ મળશે બમ્પર ડિસ્કાઉન્ટ; જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન ?

નવી દિલ્હી: તહેવારોની સિઝન શરુ થવા જઈ રહી છે, એ પહેલા ભારતીય રેલ્વે (Indian railway)એ મુસાફરોને ખુશ ખબરી આપી છે, રાઉન્ડ ટ્રીપ બૂક કરવવા પર રેલ્વેએ મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત (Discount of booking round trip) કરી છે. રેલ્વેની આ યોજનાને કારણે દિવાળીના તહેવારોમાં વતન જતા મુસાફરોને મોટો ફાયદો થશે. મુસાફરોને કન્ફર્મ ટીકીટ પણ મળશે અને આર્થિક ફાયદો પણ થશે.
રેલ્વેએ કરેલી જાહેરાત મુજબ જો કોઈ મુસાફર રાઉન્ડ ટ્રીપ એટલે કે જવા અને આવવાની ટિકિટ એક સાથે બૂક કરાવે છે, તો તેને રિટર્ન ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ યોજના દેશની તમામ ટ્રેનો અને તમામ ક્લાસ માટે લાગુ રહેશે. મુસાફરો આ ડિસ્કાઉન્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકે છે.આ સાથે રેલ્વે એ કેટલીક શરતો પણ મૂકી છે.
બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે “ભીડ ટાળવા, મુશ્કેલી વગર બુકિંગ કન્ફર્મ કરવા તેમજ મુસાફરોને સુવિધા આપવા અને તહેવારોની સીઝન દરમિયાન લાંબી રેન્જની ટ્રેનોમાં ભીડ ઓછી કરવા અને ખાસ ટ્રેનો સહિત ટ્રેનોનો બંને બાજુ ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરવા માટે, રાઉન્ડ ટ્રીપ પેકેજ નામની પ્રાયોગિક યોજના હેઠળ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
આ યોજના 13 ઓક્ટોબરથી શરૂ થશે અને 1 ડિસેમ્બર સુધી આ યોજના અમલમાં રહેશે.
મુસાફરોને આ બાબતોનું ધ્યાન રાખવું પડશે:
- રેલ્વેએ આપેલી જાણકારી મુજબ જવા અને આવવા બંનેની ટીકીટો અપર મુસાફરનું નામ સમાન હોવું જોઈએ.
- બંને ટિકિટ એક જ ક્લાસની હોવી જોઈએ.
- એક વાર બૂક થયા બાદ ટિકિટમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં અને આ યોજના હેઠળ કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.
- આ યોજના હેઠળ બૂક કરવામાં આવેલી ટીકીટ પર કોઈ વધારાની ઓફર માન્ય રહેશે નહીં.
- બંને ટિકિટ એક જ સમયે એક જ માધ્યમથી બુક કરાવવાની રહેશે.
- રિટર્ન ટ્રીપ બુકિંગ માટે એડવાન્સ રિઝર્વેશન પીરીયડ લાગુ પડશે નહીં.
આ પણ વાંચો…IRCTC યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો? આ સરળ સ્ટેપ્સથી તરત રિકવર કરો…