રશિયાથી આવી રહ્યું છે ભારતીય નેવીની સેવામાં ઘાતક યુદ્ધજહાજ INS તમાલ!

નવી દિલ્હીઃ રશિયામાં નિર્મિત સ્ટીલ્થ મિસાઇલ યુદ્ધજહાજ આઇએનએસ તમાલ 1 જુલાઈના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ થશે. આ કમિશનિંગ સમારોહ રશિયાના દરિયાકાંઠાના શહેર કલિનિનગ્રાદમાં યોજાશે અને તેની અધ્યક્ષતા વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય જે સિંહ કરશે. આ કાર્યક્રમમાં ઘણા ઉચ્ચ કક્ષાના ભારતીય અને રશિયન સંરક્ષણ અધિકારીઓ હાજરી આપશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યુદ્ધ જહાજનું નિર્માણ કલિનિનનગ્રાદ સ્થિત યંતર શિપયાર્ડમાં કરવામાં આવ્યું હતું અને તે વિદેશી સ્ત્રોતમાંથી સામેલ થનારું છેલ્લું જહાજ છે. આઇએનએસ તમાલે સતત ત્રણ મહિના સુધી વ્યાપક દરિયાઈ પરીક્ષણો પૂર્ણ કર્યા છે.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, આ 125 મીટર લાંબુ અને 3,900 ટનનું યુદ્ધ જહાજ ઘાતક છે કારણ કે તે ભારતીય અને રશિયન અત્યાધુનિક ટેકનોલોજી અને યુદ્ધ જહાજ નિર્માણની શ્રેષ્ઠ પદ્ધતિઓને જોડીને વિકસાવવામાં આવ્યું છે.
આ યુદ્ધ જહાજ અનેક મિસાઇલો અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે. નૌકાદળમાં જોડાયા પછી યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળના ‘સ્વોર્ડ આર્મ’, વેસ્ટર્ન ફ્લીટમાં તૈનાત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આઇએનએસ તમાલના 26 ટકા પાર્ટ્સ સ્વદેશી છે, જેમાં બ્રહ્મોસનો સમાવેશ થાય છે, જે સમુદ્ર અને જમીન બંનેને લક્ષ્ય બનાવવા માટે લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ છે.
આઇએનએસ તમાલ છેલ્લા બે દાયકામાં રશિયાથી સામેલ થનારું આઠમું ક્રિવાક ક્લાસ ફ્રિગેટ હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યુદ્ધ જહાજ કલિનિનગ્રાદના યંતર શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે, અને તે છેલ્લું પ્લેટફોર્મ છે જે વિદેશી સ્ત્રોતમાંથી લાવવામાં આવ્યું છે. આઇએનએસ તમાલ તુશીલ ક્લાસનું બીજું જહાજ છે, જે તેમના પુરોગામી, તલવાર અને તેગ ક્લાસના અપગ્રેડેડ વર્ઝન છે.
તુશીલ વર્ગ માટેના વ્યાપક કરારના ભાગ રૂપે ભારત ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે આઇએનએસ ત્રિપુટ વર્ગ નામના બે સમાન ફ્રિગેટ્સનું નિર્માણ પણ કરી રહ્યું છે, જેમાં રશિયન પક્ષ તરફથી ટેકનોલોજી અને ડિઝાઇન સહાય ટ્રાન્સફર કરવામાં આવશે.
અધિકારીઓએ કહ્યું કે જહાજોની આ કેટેગરીના સમાપન સુધીમાં, ભારતીય નૌકાદળ ચાર અલગ અલગ વર્ગોમાં સમાન ક્ષમતાઓ અને સાધનો, શસ્ત્રો અને સેન્સર ફિટમાં સમાનતા ધરાવતા 10 જહાજોનું સંચાલન કરશે. તમાલનું નિરીક્ષણ કલિનિનગ્રાદ ખાતે સ્થિત યુદ્ધ જહાજ દેખરેખ ટીમના નિષ્ણાતોની ભારતીય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જહાજમાં વર્ટિકલ લોન્ચ કરાયેલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, 100 એમએમ ગન, હેવીવેઇટ ટોર્પિડો, તાત્કાલિક હુમલો વિરોધી સબમરીન રોકેટ અને સર્વેલન્સ અને ફાયર કંટ્રોલ રડારનો સમાવેશ થાય છે.
નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે જણાવ્યું હતું કે, જહાજની લડાયક ક્ષમતા નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ સ્યુટ દ્વારા વધારવામાં આવી છે. તમાલ તેના વજન કરતાં ઘણી વધારે મારક ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો…ઇરાન પરની એરસ્ટ્રાઈક અંગે સોનિયા ગાંધીએ અમેરિકાની નીતિને વખોડી