ટોપ ન્યૂઝનેશનલ

2500 કિલોમીટર દૂર શહીદ જવાનના પાર્થિવ દેહને સેનાએ વતન પહોંચાડ્યો, કોણ છે એ જવાન જાણો?

સિક્કિમથી લક્ષદ્વિપ સુધી પહોંચાડવામાં સેનાને કેટલા પડકારો આવ્યા?

અંદ્રોત: સેવન સિસ્ટર તરીકે જાણીતા ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારના રાજ્યોમાં ગત અઠવાડિયે ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. બ્રહ્મપુત્ર સહિતની તમામ નદીઓ ગાંડીતૂર થઈને બે કાંઠે વહી રહી હતી. જેથી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું હતું. તાજેતરમાં સિક્કીમ ખાતે થયેલા આવા જ એક ભૂસ્ખલનમાં ભારતીય સેનાનો સૈનીઉદ્દીન નામનો જવાન શહીદ થયો હતો.

ભારતીય સેનાએ ગાર્ડ ઓફ ઓનર સાથે આપી શ્રદ્ધાંજલિ
આઠ દિવસની અથાક મહેનત પછી 8 જૂનના રોજ ભારતીય સેનાએ સૈનીઉદ્દીનના પરિવારજનોને સન્માન સાથે તેનો પાર્થિવદેહ સોંપ્યો હતો. ભારતીય સેનાએ સિક્કિમના ચટ્ટેનથી લક્ષદ્વીપના અંદ્રોત સુધી લગભગ 2500 કિમીનું અંતર કાપીને આ કામને શક્ય બનાવ્યું હતું. જોકે આ કામ ભારતીય સેનાની ત્રણેય પાંખના સંયુક્ત પ્રયાસ અને સ્થાનિક પ્રશાસનના ના કારણે શક્ય બન્યું હતું.

Onmanorama

ભારતીય સેનાએ હેલિકોપ્ટર અને વાયુ સેનાના પરિવહન વિમાન સી-295ની મદદથી 2500 કિમીની લાંબી યાત્રા પૂરી કરી હતી. 8 જૂનના રોજ બેંગડુબી સૈન્ય છાવણીમાં સૈનીઉદ્દીનને પૂરેપૂરા સૈનિક સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદ સૈનીઉદ્દીનના ગામ અંદ્રોત પહોંચીને ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને સૈનિકના બલિદાનને સલામી આપી હતી. આ સાથે સમગ્ર વિસ્તાર “સૈનીઉદ્દીન અમર રહે”ના નારાની ગૂંજી ઉઠ્યો હતો.

શહીદ સૈનીઉદ્દીને 12 વર્ષ સુધી કરી મા ભોમની રક્ષા
શહીદ સૈનીઉદ્દીનને શ્રદ્ધાંજલિ આપતા તેમના કમાંડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, “સૈનિક સૈનીઉદ્દીન પી.કે. ભારતીય સેનાની એ ઉચ્ચ પરંપરાનું પ્રતિક હતા. જે નિ:શબ્દ ઇમાનદારી, અતૂટ પ્રામાણિકતા અને અજોડ સમર્પણથી તરબતર હતી. સિયાચિનથી સિક્કિમ સુધી તેમણે તમામ મોરચા પર પોતાના સાહસથી દરેકને પ્રેરણા આપી હતી. વણજોયેલા સંકટમાં નિ:સ્વાર્થ ભાવે જે કર્તવ્ય નિભાવે છે, એ જ સાચું શૌર્ય છે. તેઓનું બલિદાન આ વાત શિખવે છે. અમે તેઓને એક વીર સૈનિક, પ્રિય મિત્ર અને ભારત માતાના સપૂતના રૂપમાં હંમેશા યાદ રાખીશું.”

શહીદ સૈનીઉદ્દીનના પાર્થિવ દેહને તેના પરિવાર સુધી પહોંચાડવો એ એક સૈનિકને બલિદાન અને કર્તવ્ય પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતા હતી. આ એક સંકલ્પ હતો. તે રાષ્ટ્ર તરફથી ધરતીના રક્ષકને આપેલી શ્રદ્ધાંજલિ હતી. ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 1991ના રોજ લક્ષદ્વીપના અંદ્રોત દીપ ખાતે જન્મેલ સૈનીઉદ્દીન 24 માર્ચ 2012ના રોજ ભારતીય સેનામાં જોડાયો હતો. તે શિસ્ત, વફાદારી અને સમર્પણ માટે તેના સહકર્મીઓ અને અધિકારીઓમાં વખણાતો હતો. પોતાની 12 વર્ષની કારકિર્દીમાં તેમણે સિયાચિન ગ્લેસિઅર જેવા વિસ્તારમાં પણ નિડરતાપૂર્વક ફરજ બજાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button