પાકિસ્તાનના ખોટા દાવાનો વિદેશ મંત્રાલય કર્યો પર્દાફાશ,કહ્યું સુરતગઢ અને સિરસા એરપોર્ટ સુરક્ષિત

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવાનો પર્દાફાશ કર્યો છે. આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. પાકિસ્તાને ભારતીય S-400 સિસ્ટમનો નષ્ટ કરવાનો અને સુરતગઢ અને સિરસાના એરપોર્ટનો નાશ કરવાનો ખોટો દાવો કર્યો છે. ભારત પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા આ ખોટા દાવાઓને સ્પષ્ટપણે નકારે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સરકારી એજન્સીઓ તેમની સેના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે સતત ખોટા દાવાઓને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં વિવિધ લશ્કરી કેમ્પ પર હુમલો કરીને નાશ કરવાના તેમના દાવા સંપૂર્ણપણે ખોટા છે.
પાકિસ્તાનની પ્રવૃત્તિ ઉશ્કેરણીજનક
વિક્રમ મિસરીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કહ્યું કે છેલ્લા બે-ત્રણ બ્રીફિંગમાં અમે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે. છેલ્લા 2-3 દિવસથી પાકિસ્તાનની પ્રવૃત્તિને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે. ત્યારે ભારત સંપૂર્ણ જવાબદારી સાથે જવાબ આપી રહ્યું છે.
પાકિસ્તાનનો ઈરાદો સંઘર્ષ ઉશ્કેરવાનો
આ ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હુમલો કર્યો. ત્યારે ભારતે નાગરિક સલામતી સુનિશ્ચિત કરતી વખતે ચોકસાઈ સાથે પગલાં લીધાં. પાકિસ્તાને ભારતીય લશ્કરી સ્થાપનોનો નાશ કરવાના ખોટા દાવા ફેલાવ્યા. કુપવાડા, બારામુલ્લા, રાજૌરી અને પૂંછમાં તોપો અને મોર્ટારથી ભારે ગોળીબાર થયો અને ભારતે પણ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાનનો ઈરાદો સંઘર્ષ ઉશ્કેરવાનો છે. ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય સશસ્ત્ર દળો સંઘર્ષ વધારવા માંગતા નથી.
આ પણ વાંચો…ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા