ભારતે ઓપરેશન સિંદૂરમાં 25 મિનિટમાં 21 સ્થળો પર હુમલા કર્યા, નાગરિકોને કોઇ નુકસાન નહિ

નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એર સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં કટોકટી જેવી સ્થિતિ છે. આ દરમિયાન સેના અને વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર અંગે સત્તાવાર માહિતી આપી હતી
ભારતે 25 મિનિટમાં 21 ટાર્ગેટ પર હુમલો કર્યો
ઓપરેશન સિંદૂર અંગે વિગતવાર માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પર રાત્રે 1:05 વાગ્યે હુમલો થયો હતો. આ કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. આ કામગીરી રાત્રે 1.05 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ચાલી હતી. ગુપ્ત માહિતીના આધારે લક્ષ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલાના કાવતરાખોરો પર હુમલો કરવામાં આવ્યો.
નાગરિકોને નુકસાન પહોંચાડ્યું નથી
પાકિસ્તાન અને પીઓકે બંને પર હુમલા કરવામાં આવ્યા. અમે નાગરિકોને નુકસાન પહોંચાડ્યું નથી. હુમલામાં સૌ પ્રથમ, સવાઈ નાલા કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો. અમે જૈશ અને લશ્કરના કેમ્પોને નિશાન બનાવ્યા. 9 સ્થળોએ 21 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં જ્યાં હુમલો થયો તે સ્થળ સિયાલકોટ છે. અહીંના સરજલ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં હિઝબુલનો આતંકી કેમ્પ સ્થિત હતો
પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
આ અંગે વિદેશ સચિવે જણાવ્યું હતું કે પહલગામ હુમલો બર્બરતાપૂર્ણ હતો. જેમાં પરિવારની સામે જ વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે બે કરોડથી વધારે પ્રવાસીઓ કાશ્મીર આવ્યા હતા.આ હુમલાનો ઉદ્દેશ કોમી રમખાણો ફેલાવવાનો હતો. ભારતે મે અને નવેમ્બરમાં યુએનમાં આતંકી સંગઠન ટીઆરએફ અંગે જણાવ્યું હતું. પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે, તે વિશ્વને ગેરમાર્ગે દોરે છે.આ હુમલો આતંકવાદને નાબૂદ કરવા માટે જરૂરી હતો. આ જવાબદારી પૂર્વકનું એક્શન હતું.
શું છે ઓપરેશન સિંદૂર?
પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો.
સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે
આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો….ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પોને આ રીતે કર્યા ટ્રેક , આ એજન્સીએ આપ્યા મહત્વના ઇનપુટ