
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતના હુમલામાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન ભારતે આતંકવાદી કેમ્પો વિશે સચોટ માહિતી મેળવીને ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું હતું જે સફળ પણ થયું છે.
ટોચના આતંકવાદી કમાન્ડરો માર્યા ગયા હોવાની શક્યતા
ભારતે આ આતંકવાદી કેમ્પો અને તેના માળખાની જાણકારી મેળવવામાં નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ની (NTRO)મદદ લીધી હતી. NTRO એ પાકિસ્તાન અને PoKમાં છુપાયેલા આતંકવાદીઓને ટ્રેક કર્યા હતા. ગુપ્તચર એજન્સી NTRO એ પોતે ભારતને આતંકવાદીઓ વિશે પુષ્ટિ થયેલ માહિતી આપી હતી. ભારતના આ હુમલામાં ટોચના આતંકવાદી કમાન્ડરો માર્યા ગયા હોવાની શક્યતા છે.
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (NTRO) એ ભારતની એક ટેકનિકલ ગુપ્તચર એજન્સી છે. જેની સ્થાપના વર્ષ 2004 માં થઈ હતી. આ સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અને વડા પ્રધાન કાર્યાલય (PMO) હેઠળ કાર્ય કરે છે. તેનો મુખ્ય હેતુ ઉચ્ચ-સ્તરીય તકનીકી માહિતી એકત્રિત કરવાનો છે. તેનો ઉપયોગ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આતંકવાદ, સાયબર હુમલાઓ અને સરહદ પારના જોખમોનો સામનો કરવા માટે તેની મદદ લેવામાં આવે છે.
આતંકવાદીઓને શોધી કાઢવામાં NTRO મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે તે અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરે છે. NTRO ને ભારતની આંખ અને કાન કહેવામાં આવે છે.
આતંકવાદને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ભારતના આક્રમક વલણથી ડરી ગયું છે .પાકિસ્તાન સતત LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેના નેતાઓ પણ સતત ધમકી આપી રહ્યા છે કે તેઓ કડક કાર્યવાહી કરશે. પરંતુ હવે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોને ઉડાવીને ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
આ સાથે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો પણ લઈ લીધો છે. નોંધનીય છે કે 22 એપ્રિલ 2025 ના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો…BREAKING: ઓપરેશન સિંદૂરઃ ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ