નેશનલ

ઈન્દ્રાયણી નદી પરનો પુલ કેવી રીતે તૂટ્યો, જાણો સ્થાનિકોએ શું કહ્યું…?

લોકપ્રિય પર્યટનસ્થળો આગામી 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ

પુણે: પુણેમાં ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલનો અડધો પડી ગયો હોવાથી અનેક લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો, પુણે જિલ્લાના માવલ તહસીલમાં તાલેગાંવ દાભાડે નજીક આજે એક જૂનો પુલ તૂટી પડ્યો. આ પુલ ઈન્દ્રાયણી નદી પર બનેલો છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ પુલ તૂટી પડ્યો હોવાનું પ્રાથિમક કારણ પ્રકાશમાં આવ્યું છે. આ પુલ પડી ગયો તેના કારણે આશરે અનેક લોકોનો નદીમાં તણાયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે આ ઘટનામાં એક ચોંકાવનારી વિગત જાણવા મળી છે.

અવરજવર માટે બંધ રાખ્યા પછી શા માટે ખોલ્યો?

આ પુલ ઘણા મહિનાઓથી વાહનો માટે બંધ હતો. છતાં પણ લોકો અહીં આવી રહ્યાં હતા. આજે ભારે વરસાદ અને નદીના વધતા પાણીના પ્રવાહને જોવા માટે ઘણા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. પુણેમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર થયા બાદ માવલ તાલુકામાં ભૂશી ડેમ અને લોનાવલા જેવા લોકપ્રિય પર્યટનસ્થળો આગામી 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં લોકો અહીં આવ્યાં હતા. જેથી આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

પુલ પાસે 100થી 120 પ્રવાસી આવ્યાં હતાઃ સ્થાનિકો

પુલ તૂટ્યો તેની વાત કરવામાં આવે તો ઈન્દ્રાયણી નદીના વધતા પ્રવાહને જોવા માટે અહીં સેંકડો લોકો આવ્યા હતા. કેટલાક લોકો ખાનગી વાહન લઈને પુલ પર પણ ગયા હતા. જેના કારણે પુલ પર ભાર વધી ગયો અને એક ભાગ તૂટી ગયો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને તંત્રને યુદ્ધના ધોરણે મદદ અને બચાવ કાર્ય માટે આદેશ આપી દીધા છે. જેથી બચાવ અને રાહત કાર્ય માટે પોલીસ, ફાયર વિભાગ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે.

અમુક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં

સ્થાનિકોનું કહેવું છે કે પુલ છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતો. આમ છતાં આજે ખોલવામાં આવ્યો અને પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પુલની હાલત પહેલેથી જ ખરાબ હતી. ભારે વરસાદને કારણે નદીનું પાણીનું સ્તર ઝડપથી વધ્યું અને પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે પુલ તૂટી પડ્યો. આ અકસ્માતમાં નદીના જોરદાર પ્રવાહમાં લગભગ 25 થી 30 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 5થી 6 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં છે. જ્યારે બાકીના લોકોને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

38 લોકોને બચાવી લેવાયા, જ્યારે આઠ જણની હાલત ગંભીર

અંગ્રેજોના જમાનાનો બ્રિજ ધરાશાયી થયા પછી અનેક લોકો નદીમાં ડૂબ્યા હતા. નદી પરના પુલ પરથી ફોટો પડાવવાના આશયને લઈ ભીડ જમા થઈ હતી, ત્યારે અચાનક નદીમાં પાણી વધ્યું હતું, તેથી બ્રિજ તૂટી પડ્યો હોઈ શકે છે. અત્યાર સુધીમાં 38 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે આઠ જણને ગંભીર રીતે ઈજા પહોંચી છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન માટે પાંચ એમ્બ્યુલન્સને તહેનાત કરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button