ઘરે બેઠા કરો ‘રામ દરબાર’ના અલૌકિક દર્શન: અયોધ્યા રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યાઃ અયોધ્યા ખાતે વર્ષો બાદ રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ થયું છે. ગત વર્ષે મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે આજે રામમંદિરમાં રામ દરબારની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

વિક્રમ સંવંત 20282, જેઠ સુદ 10મીને આજે રામ મંદિર ખાતે ભવ્ય રામ મંદિર ખાતે ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરમાં આજથી ભગવાન રામના દરબારને સજાવવામાં આવ્યો છે. હવે શ્રદ્ધાળુઓને રામલલ્લાની સાથોસાથ ભવ્ય રામ દરબારના દર્શનનો પણ લ્હાવો મળશે.

અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરમાં રામ દરબાર સહિત અન્ય સાત મંદિરોની સ્થાપના માટે પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રામ મંદિરમાં 21 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

21 મૂર્તિઓની સાથોસાથ મંદિરના ઈશાન ખૂણામાં શિવલિંગ, અગ્નિ ખૂણામાં શ્રી ગણેશ, દક્ષિણ મધ્યમાં મહાબલી હનુમાન, નૈઋત્ય ખૂણામાં સૂર્ય દેવ, વાયવ્ય ખૂણામાં માતા ભગવતી, ઉત્તર મધ્યમાં મા અન્નપૂર્ણા, દક્ષિણ પશ્ચિમ પરકોટમાં શેષાવતાર મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાના આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અયોધ્યા અને કાશીના 101 આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પૂરૂ થયા બાદ તેમાં રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે. જેમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
આ પણ વાંચો….આજથી અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ, ત્રણ દિવસ ચાલશે કાર્યક્રમ