નેશનલ

ઘોર બેદરકારી! બિહારની સરકારી હોસ્પિટલમાં ઉંદરો દર્દીની આંગળીઓ કરડી ગયા, તેજસ્વી યાદવ ભડક્યા

પટના: બિહારની રાજધાની પટનામાં એક આઘાતજનક ઘટના બની છે. પટનાની બીજી સૌથી મોટી સરકારી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (NMCH) માં ઉંદરોના ભયંકર ઉપદ્રવના અહેવાલ વહેતા થયા છે. અહેવાલ મુજબ હોસ્પિટલમાં દાખલ દર્દી ઊંઘમાં હતો ત્યારે, ઉંદરોએ તેના પગની આંગળીઓ કરડી ખાધી હતી.

આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થતા રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દલ(RJD) નેતા તેજસ્વી યાદવ(Tejashwi Yadav)એ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી મુખ્ય પ્રધાન નીતિશ કુમાર (Nitish kumar) અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડે(Mangal Pandey)ની આકરી ટીકા કરી હતી.

તેજસ્વી યાદવે પીડિત દર્દીનો એક વીડિયો શેર કર્યો અને તેમણે આ ઘટનાને રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ઘોર બેદરકારી અને પતન ગણાવી હતી.

આપણ વાંચો: કેરળના માનવ અધિકાર પંચની સરકારી હોસ્પિટલ માટે કરી ગજબની માગણી…

તેજસ્વીએ યાદવે રાજ્ય સરકારને વખોડી:

તેજસ્વીએ યાદવે X પરની પોસ્ટમાં લખ્યું, “પટનાના NMCH માં દાખલ એક અપંગ દર્દી ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે ઉંદરોએ તેની આંગળીઓ કરડી લીધી. થોડા દિવસો પહેલા જ, આ જ હોસ્પિટલમાં ઉંદરોએ એક મૃતકની આંખ ખાઈ લીધી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”

તેજસ્વીએ યાદવે દાવો કર્યો હતો કે આરોગ્ય પ્રધાન તરીકેના તેમના 17 મહિનાના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવેલા આરોગ્ય સુધારાઓ નીતિશ કુમારની સરકારે ઉલટાવી દીધા હતાં.

આપણ વાંચો: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં 42,269 બેઠકો ખાલી, છેલ્લાં પાંચ વર્ષમાં આ ખાલી બેઠકોમાં 10 ટકાનો વધારો

તેજસ્વી યાદવે કહ્યું, “આરોગ્ય પ્રધાન મંગલ પાંડે, જે છુપી રીતે પોતાને RSS/BJPના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે, તેમણે આરોગ્ય વિભાગમાં અમે કરેલા સુધારાઓ ઉલટાવી નાખ્યા છે.”

તેમણે રાજ્ય વહીવટીતંત્ર પર પ્રહાર કરતા લખ્યું,”જે વિભાગ પોતાની હોસ્પિટલોમાં સ્વચ્છતા અને સુરક્ષા પણ સુનિશ્ચિત કરી ન શકે, જ્યાં એક સ્વસ્થ વ્યક્તિ બીમાર પડી જાય, તે દર્દીઓની સારવાર કેવી રીતે કરશે? બેભાન મુખ્ય પ્રધાનને ટૂંક સમયમાં એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે જેમાં દાવો કરવામાં આવશે કે દર્દીની આંગળીઓ ઉંદરોએ નહીં પરંતુ કરોડોની કિંમતની એક અત્યાધુનિક રોબોટિક સર્જિકલ મશીન દ્વારા કરડવામાં આવી હતી. અને પછી, હંમેશની જેમ, મુખ્ય પ્રધાન કહેશે – “આ બધું 2005 પહેલા થયું હતું?”

પરિવારની ફરિયાદ:

નાલંદા જિલ્લાના રહેવાસી આધેડ ઉંમરના અવદેશ પ્રસાદની તાજેતરમાં સર્જરી થઈ હતી. રવિવારે તેઓ ઊંઘમાં હતા ત્યારે ઉંદરોએ પગની આંગળી કરડી ખાધી હતી. પીડિત દર્દીના પરિવાર અને પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઉંદરોની હાજરી અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં, હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

NMCH એ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હોસ્પિટલના અધિકારી કે સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવાયા હોવાના પણ કોઈ અહેવાલ નથી.

તાજેતરમાં, ઉંદરોએ હોસ્પિટલના શબઘરમાં એક મૃત દર્દીની આંખ ખાઈ લેવાની ઘટના પણ બની હતી, આ ઘટના બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. છતાં, કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા ન હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button