પ્લેન ક્રેશ પછી એર ઇન્ડિયાએ ફ્લાઇટનો ‘એ’ નંબર બદલ્યો
ડ્રીમલાઈનરના 9 વિમાનની ચકાસણી પૂરી, બાકીના 24 વિમાનનું ઓડિટ ચાલુ

નવી દિલ્હી/અમદાવાદઃ અમાદવાદમાં ડ્રીમલાઈનર 171ના અકસ્માત પછી એર ઈન્ડિયા હરકતમાં આવી ગયું છે, જેમાં ડીજીસીએથી લઈને ભારત સરકારે પણ એવિયેશન ક્ષેત્રમાં પ્રવાસીઓની સુરક્ષામાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે, ત્યારે એર ઈન્ડિયાએ અકસ્માતગ્રસ્ત ફ્લાઈટનો નંબર પણ હવે બંધ કર્યો છે.
દુર્ઘટનાને પગલે 171 નંબરનો ઉપયોગ બંધ
આ મુદ્દે એર ઇન્ડિયા (AI) એક્સપ્રેસે જીવલેણ દુર્ઘટનાને પગલે ફ્લાઇટ નંબર 171નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતી બોઈંગ 787–8 ડ્રીમલાઈનર ફ્લાઇટ AI 171 ટેક ઓફ બાદ તરત જ મેઘાણીનગર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાનમાં 242 પ્રવાસી સવાર હતા, જેમાં એક – વિશ્વાસકુમાર રમેશ જ જીવિત બચ્યા હતા.
એમ્બાર્ક મેન્યુઅલ અને બુકિંગ સિસ્ટમમાં ફેરફાર
સૂત્રોના જણાવ્યા મુજબ, હવે 17 જૂનથી એટલે કે મંગળવારથી ફ્લાઇટ નંબર ‘AI 171’ની જગ્યાએ AI 159નો ઉપયોગ થશે. આ નિર્ણય દુર્ઘટનાગ્રસ્ત લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિરૂપે લેવામાં આવ્યો છે.
એમ્બાર્ક મેન્યુઅલ અને બુકિંગ સિસ્ટમમાં પણ આ ફેરફાર શુક્રવારે અમલમાં લાવ્યા છે. આ ઉપરાંત, એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેનો ફ્લાઇટ નંબર ‘IX 171’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એ અગાઉ, 2020માં કોઝિકોડ ક્રેશ પછી પણ તે ફ્લાઇટ નંબર દૂર કર્યો હતો.
આપણ વાંચો: વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા એઆઈ 171નો નંબર બદલશે? અધિકારીએ જણાવ્યું તેનું કારણ
9 વિમાનની સેફ્ટી ચકાસણી પૂર્ણ કરી
એર ઇન્ડિયાએ DGCAના આદેશ મુજબ બોઇંગ 787 ડ્રીમલાઈનરના 9 વિમાનોની સેફ્ટી ચકાસણી પૂર્ણ કરી છે, અને બાકીના 24 વિમાનોનું ઓડિટ ચાલુ છે. કુલ 33 બોઇંગ 787 વિમાનો એર ઇન્ડિયાની ફ્લાઈટ છે. DGCAએ વધુમાં તમામ વિમાનોનું સેફ્ટી ઓડિટ અને મેન્ટેનન્સ ચેક વધારવાનો આદેશ આપ્યો છે.