નવી દિલ્હી: ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગભગ 200 ખેડૂત સંગઠન દ્વારા આયોજિત ‘દિલ્હી ચલો માર્ચ’ના ભાગરૂપે મંગળવારે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરે તેવી શક્યતા છે. પોતાની માગણીઓ પૂરી કરવા માટે અલગ અલગ સંગઠનો 13મી દિલ્હીમાં કૂચ કરવાની જાહેરાત પછી હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે.
આ અગાઉ હરિયાણાના અધિકારીઓએ અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ સાથેની સરહદ સીલ કરી દીધી છે. દિલ્હી તરફની કૂચને રોકવા માટે જીંદ અને ફતેહાબાદ જિલ્લાની સરહદો પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા સરકારે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા એમ સાત જિલ્લામાં 13 ફેબ્રુઆરી સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અને એકસાથે અનેક એસએમએસ મોકલવાની સેવાઓને સ્થગિત કરી દીધી છે.
પંજાબના ખેડૂતોએ જાહેર કરીને કહ્યું હતું કે 10,000 ટ્રેક્ટર ટ્રોલીમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે, જ્યારે તેના માટે શંભુ બોર્ડર, ડબવાલી અને ખનોરી બોર્ડને પસંદ કરી છે. પંજાબ અને હરિયાણાની સીમા પર બીએસએફ અને આરસીએફના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. શંભુ બોર્ડર પર આવેલ ઘગ્ગર ફ્લાયઓવર રોડ ટ્રાફિક માટે બંધ છે અને પોલીસે રોડ પર સિમેન્ટના બેરિયર લગાવ્યા છે.
શંભુ બોર્ડર પર કાંટાળા તાર, રેતીની થેલીઓ, કોંક્રીટ બ્લોક બેરિયર અને અન્ય વસ્તુ એકઠી કરી દેવામાં આવી છે. જીંદમાં હરિયાણા-પંજાબ સરહદ નજીકના બે રસ્તાઓને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને વધુ બે રસ્તાઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને તેમની માંગણીઓ પર ચર્ચા કરવા માટે 12 ફેબ્રુઆરીએ બીજી બેઠક યોજવા આમંત્રણ આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ 13 ફેબ્રુઆરીએ 200 થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા ‘દિલ્હી ચલો’ની ઘોષણા કરી હતી જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપવાના કાયદા સહિતની અનેક માંગણીઓ માટે દબાણ કરવામાં આવી શકે છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તરપૂર્વ) જોય ટિર્કીએ જાહેર કરેલા આદેશ અનુસાર અમે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 (પ્રતિબંધિત હુકમ) લગાવી છે. એવું નોંધવામાં આવ્યું છે કે કેટલાક ખેડૂત સંગઠનોએ તેમના સમર્થકોને લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદો બનાવવાની તેમની માંગ સાથે 13મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં માર્ચ કરવા જઇ રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈને ખલેલ પહોંચાડવા દેવામાં આવશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને અન્ય સંભવિત વિસ્તારોમાંથી પણ આવશે.
કોઈ પણ વ્યક્તિ કે વિરોધ કરનારને હથિયારો, તલવારો, ત્રિશૂળ, ભાલા, લાકડીઓ, સળિયા અને અન્ય હથિયારો લાવવાની મંજૂરી નથી અને પોલીસે આ લોકોને સ્થળ પર જ અટકાયતમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથેની દિલ્હીની સરહદો પર 5,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરી રહી છે.
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing
Celebrate Akshay Tritiya with the sacred Tulsi plant! Discover powerful remedies for prosperity, good health, and overall well-being.