નાનકડા બાળકની વાત માની કેરળ સરકારેઃ હવે નાસ્તામાં આ વસ્તુ પણ અપાશે

બાળકો દેશની આવનારી પેઢી છે. તેઓ સ્વસ્થ રહે તે માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. બાળકોને શિક્ષણની દુનિયામાં પા પા પગલી ભરાવતી આંગણવાડીમાં રમત-ગમતની પ્રવૃત્તિની સાથોસાથ પૌષ્ટિક ખોરાક પણ આપવામાં આવે છે. જેથી નાના બાળકોને આંગણવાડીમાં આવવાની પ્રેરણા મળે છે.
આંગણવાડીમાં બાળકો ખુબ ધમાલ-મસ્તી પણ કરતા હોય છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. તાજેતરમાં કેરળ રાજ્યની એક આંગણવાડીના ત્રિજલ ઉર્ફ શંકુ નામના માસૂમ બાળકનો વીડિયો વાયરલ થયો હતો. 26 જાન્યુઆરી 2025ના રોજ બાળકને તેની માતા બિરયાની ખવડાવી રહી હતી. ત્યારે બાળકે કહ્યું હતું કે, “આંગણવાડીમાં ઉપમા નથી જોઈતા, બિરયાની અને ચિકન ફ્રાઈ જોઈએ છે.” બાળકની માતાએ તેનો વીડિયો રેકોર્ડ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જે ખુબ વાયરલ થયો હતો.
માસૂમ બાળકના આ વાયરલ વીડિયોની નોંધ રાજ્યના સ્વાસ્થ્ય, મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલયે પણ લીધી હતી. આ અંગે આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ જણાવ્યું હતું કે, “સરકાર ત્રિજલ ઉર્ફ શંકૂની આ માંગ પર વિચાર કરશે.” આખરે આ માંગને પૂરી કરવામાં આવી છે.
મંગળવારે પઠાનમથિટ્ટા જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષના ઉદ્ધાટનના અવસરે આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ પોતાનું વચન પૂરૂ કરતા આંગણવાડી માટે આહારનું નવું મેન્યુ જાહેર કરતા કરતા જણાવ્યું હતું કે, “રાજ્યની તમામ આંગણવાડી માટે એક આહાર યાદી લાગુ કરવામાં આવી છે એવું પહેલીવાર બન્યું છે. જેમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરવામાં આવ્યું છે. સાથોસાથ સ્વાદ અને પોષણ વધારવા માટે ઈંડા બિરયાની અને પુલાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.”
કેરળ સરકાર દ્વારા રાજ્યની આંગણવાડીઓમાં જાહેર કરાયેલા નવા મેન્યુ અનુસાર નાના બાળકોને ઈંડા બિરયાની અને પુલાવ જેવા વ્યંજન નિયમિતપણે પીરસવામાં આવશે. પહેલા અઠવાડિયામાં બે વાર દૂધ અને ઈંડા આપવામાં આવતા હતા. જે હવે અઠવાડિયામાં ત્રણ દિવસ આપવામાં આવશે. રાજ્યની આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં બાળકો માટે શિક્ષણ, આરામ, રમતગમત અને ભોજનની યોગ્ય વ્યવસ્થા હશે.
આ પણ વાંચો….“તમે કમલ હસન હોવ કે કોઈ પણ…” કન્નડ ભાષાના વિવાદ પર કર્ણાટક હાઈ કોર્ટ અભિનેતાને લગાવી ફટકાર…