ઈમરજન્સીમાં ‘લોકતંત્ર’ની થઈ હત્યાઃ કેબિનેટમાં પ્રસ્તાવ પસાર, મંત્રીઓએ મૌન પાળ્યું

નવી દિલ્હી: 25 જૂન 1975ના રોજ ભારતમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે દેશમાં કટોકટી લાદી હતી. જોકે તેની પાછળ તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી જવાબદાર હતા. પોતાની સત્તા બચાવવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. જેનાથી લોકશાહી અને બંધારણના મૂલ્યોનું હનન થયું હતું. તેથી આ ઘટનાના પચાસ વર્ષ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં મળેલી કેબિનેટ બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
કટોકટીના 50મા વર્ષે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેબિનેટની બેઠકમાં કટોકટીને ‘લોકશાહીની હત્યા’ ગણાવતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 1975માં લાદવામાં આવેલી કટોકટીને સખત રીતે વખોડી કાઢતો પ્રસ્તાવ કેબિનેટ બેઠકમાં પસાર કરવામાં આવ્યો છે. કટોકટીની 50મી વર્ષગાંઠને ધ્યાને રાખીને પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં લોકશાહીની રક્ષા અને સંવિધાનના મૂલ્યોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.
કેબિનેટ બેઠકમાં બે મિનિટનું મૌન
કેબિનેટ બેઠકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે કટોકટી પહેલા અને કટોકટી દરમિયાન સમગ્ર દેશમાં લોકતાંત્રિક મૂલ્યોનું હનન થયું હતું. નાગરિકોના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. જેથી અનેક નિર્દોષ લોકોને અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય પ્રધાનોએ કટોકટીના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સન્માનમાં પોતાના સ્થાન પર ઊભા થઈને બે મિનિટનું મૌન પાળ્યું હતું.
કટોકટીના સૈનિકો પાસેથી યુવાનો પાઠ ભણે
કેબિનેટ બેઠકમાં દાવો કરવામાં આવ્યો કે કટોકટી દરમિયાન માનવીય સ્વતંત્રતા અને ગરિમાનો નાશ કરવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠકના જાહેર કરાયેલા એક બ્યાનમાં કટોકટીનો વિરોધ કરવાવાળા લોકોને લોકશાહીના સૈનિકો કહેવામાં આવ્યા છે. સાથોસાથ કહેવામાં આવ્યું છે કે આ વીરોએ તાનાશાહી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો અને આપણા સંવિધાન અને લોકતાંત્રિક ભાવનાની દૃઢતા સાથે રક્ષા કરી હતી. કેબિનેટે વરિષ્ઠ નાગરિકોની સાથોસાથ યુવાનોને પણ લોકશાહીના સૈનિકો પાસેથી શિખ લેવાની અપીલ કરી છે.