
નવી દિલ્હી: 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoK પર એર સ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો. સંસદના ચોમાસું સત્રમાં ‘ઓપરેશન સિંદૂર’ની ચર્ચા કરવામાં આવી રહી છે, એવામાં આજે શુક્રવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ(CDS Anil Chauhan)એ પાકિસ્તાનને વધુ એક ચેતવણી આપતા કહ્યું કે ઓપરેશન સિંદૂર ચાલુ છે. તેમણે કહ્યું કે સૈન્ય માટે ‘શસ્ત્ર’ અને ‘શાસ્ત્ર’ બંને વિશે શીખવું જરૂરી છે.
દિલ્હીમાં એક ડિફેન્સ સેમીનારમાં આપેલા નિવેદનમાં CDS અનિલ ચૌહાણે કહ્યું, “આજે યોદ્ધાએ યુદ્ધના ત્રણેય સ્તરો – ટેક્ટીકલ; ઓપરેશનલ અને સ્ટ્રેટેજીક તમામ ક્ષેત્રોમાં નિપુણતા મેળવવાની જરૂર છે. 24×7, 365 દિવસ સશસ્ત્ર દળોએ તૈયારીનું ખૂબ જ ઊંચું સ્તર જાળવવું જરૂરી છે. યુદ્ધમાં કોઈ રનર-અપ નથી હોતું, અને કોઈપણ સૈન્યએ સતત સતર્ક રહેવું જોઈએ.”
CDS અનિલ ચૌહાણે કહ્યું કે આપણે ટેકનોલોજીને અવિરત રીતે આગળ વધતી જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં સૈન્યને ઇન્ફોર્મેશન વોરીયર્સ, ટેકનોલોજી વોરીયર્સ અને સ્કોલર વોરીયર્સની પણ જરૂર પડશે. CDS ચૌહાણે કહ્યું, આપણે મીલીટરી વોરફેરની ત્રીજી ક્રાંતિના શિખર પર ઉભા છીએ.
સંસદના ચોમાસું સત્રમાં પણ ઓપરેશન સિંદૂરનો મુદ્દે ચર્ચાઈ રહ્યો છે. ગુરુવારે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન-સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતીય સશસ્ત્ર દળોની કાર્યવાહી આતંકવાદી સ્ટ્રક્ચર્સને તોડી પાડવા અને આતંકવાદીઓનો ખાતમો કરવા પુરતી અમર્યાદિત હતી.
આ પણ વાંચો…શું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ફાઇટર જેટ ગુમાવ્યા? CDS અનિલ ચૌહાણે કર્યો ખુલાસો