રામ મંદિર દર્શનનો નવો રેકોર્ડ: પ્રાણ-પ્રતિષ્ઠા બાદ 5.5 કરોડથી વધુ ભક્તોએ લીધા દર્શન!

અયોધ્યાઃ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠા પછીથી રામ નગરીમાં ભારત અને વિદેશથી ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૫.૫ કરોડથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે, એમ સરકારી અહેવાલમાં જણાવ્યું.
યાત્રાળુઓની સંખ્યામાં આ ઉછાળો માત્ર સામાન્ય લોકો પૂરતો મર્યાદિત નથી. કેન્દ્રીય પ્રધાનો, રાજ્યપાલો, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને મનોરંજન, ઉદ્યોગ અને રમતગમત ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ સહિત લગભગ ૪.૫ લાખ વીઆઇપીએ પણ મંદિરમાં દર્શન કર્યા છે.
સરકારી નિવેદનમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દર્શનની વ્યવસ્થા કાર્યક્ષમ અને અનુકૂળ હોવાની ખાતરી કરી છે તેમ જ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે બધા મુલાકાતીઓ પછી ભલે તે સામાન્ય ભક્ત હોય કે ખાસ મહેમાન હોય સરળ યાત્રાનો અનુભવ કરી શકે. ભવ્ય મંદિરના નિર્માણ સાથે અયોધ્યા એક મુખ્ય વૈશ્વિક ધાર્મિક સ્થળ બની ગયું છે.
વિભાગીય કમિશ્નર ગૌરવ દયાલે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ ૫.૫ કરોડ ભક્તો મંદિરની મુલાકાત લઇ ચૂક્યા છે, જેમાંથી મોટા ભાગના યાત્રાળુઓ છે. તેમણે ખાતરી આપી કે વહીવટીતંત્ર સુરક્ષા પ્રોટોકોલ અનુસાર તમામ મુલાકાતીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઇ રહ્યું છે.
સત્તાધીશોએ વધતી ભીડને નિયંત્રિત કરવા માટે ઓનલાઇન પાસ સિસ્ટમ લાગૂ કરી છે. જેથી ખાતરી કરી શકાય કે દર્શન બધા માટે સુલભ છે, પછી ભલે તે સામાન્ય મુલાકાતીઓ હોય કે વીઆઇપી.