ટ્રાન્સપ્લાન્ટ માટે હાર્ટ લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, અને…

ચેન્નઈઃ રામ રાખે તેને કોણ ચાખેની કહેવત ચેન્નઈના એક દર્દી પર એકદમ પરફેક્ટ બેસે છે. પુણેમાં આવેલી હોસ્પિટલમાંથી ફેફસા લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સ એરપોર્ટ જતાં વખતે અકસ્માતનો ભોગ બની હતી. જોકે, સર્જન અને એમની ટીમ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના બીજું વાહન લઈને ચેન્નઈ પહોંચ્યા હતા અને એક દર્દીનો જીવ બચાવ્યો હતો. મેડિકલ ટીમે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી સફળતાપૂર્વક પૂરી કરી હતી.
અહીંયા તમારી જાણ માટે સોમવારે પુણે નજીક આવેલા પિંપરી-ચિંચવડ ખાતે આ ઘટના બની હતી. જાણીતા હાર્ટ એન્ડ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સંજીવ જાધવ અને તેમની મેડિકલ ટીમને આ એક્સિડેન્ટમાં ઈજા પહોંચી હતી અને તેમ છતાં તેણે સૌથી વધુ ચિંતા હતી. એટલે ઈજાગ્રસ્ત થયા બાદ પણ તમિલનાડુની રાજધાનીમાં 26 વર્ષીય દર્દી પર લંગ્સ ટ્રાન્સ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી.
નવી મુંબઈના એપોલો હોસ્પિટલના કાર્ડિયોથોરેસિક સર્જન ડો. જાધવે જણાવ્યું હતું કે પિંપરી ચિંચવડમાં હેરિસ બ્રિજ પર એમ્બ્યુલન્સનું ટાયર ફાટી ગયું હતું. આ એક્સિડેન્ટમાં ડોક્ટર અને મેડિકલ ટીમના લોકોને ઈજા પહોંચી ગયું હતું. પરંતુ સમય વેડફ્યા વિના ડોક્ટર જાધવ અને તેમની મેડિકલ ટીમ પાછળથી આવી રહેલા બીજા વાહનમાં બેસીને પુણે એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એક ફ્લાઈટ ચેન્નઈ માટે ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું.
પિંપરી ચિંચવડની ડીવાય પાટિલ હોસ્ટિપલમાં સોમવારે આત્મહત્યા કરનારા 19 વર્ષીય વ્યક્તિના ફેફસાં કાઢી લેવામાં આવ્યા હતા અને આ ફેફસાં ચેન્નઈ સ્થિત એપોલો હોસ્પિટલ લઈ જવાના હતા, આ ફેફસાં 26 વર્ષીય દર્દીને આપવામાં આવનાર હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફેફસા છ કલાકની અંદર જ ટ્રાન્સ્પ્લાન્ટ કરી શકાય છે. એટલે દર્દીનો જીવ બચાવવા માટે કોઈ પણ સંજોગોમાં ચેન્નઈ પહોંચવું ખૂબ જ જરૂરી હતું.