બિહારનો મુખ્ય પ્રધાન કોણ બનશે એ તો સમય બતાવશે: અમિત શાહે ઊભું કર્યું સસપેન્સ

પટના: બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. 74 વર્ષીય નીતિશ કુમારના મુખ્ય પ્રધાન બનવાના ઓરતા હજુ પણ ઉતર્યા નથી.
એનડીએ પણ નીતિશ કુમારને મુખ્ય પ્રધાનનો ચહેરો બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. જોકે બિહારમાં એવી અટકળો વહીં રહી છે કે, નીતિશ કુમારને ફરી મુખ્ય પ્રધાન બનાવાશે નહીં. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ બિહારના મુખ્ય પ્રધાનને લઈને સસપેન્સ ઊભું કર્યું છે.
આપણ વાંચો: પંજા અને આરજેડીએ બિહારના ‘આત્મસન્માન’ને ઠેસ પહોંચાડીઃ PM મોદીએ બિહારમાં વિપક્ષોની કાઢી ઝાટકણી…
ચૂંટણીના મુદ્દા હંમેશા જનતા નક્કી કરે છે: અમિત શાહ
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેઓને બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
અમિત શાહને ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો વિકાસ હશે કે જાતિ? આ પ્રશ્નનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, ચૂંટણીના મુદ્દા હંમેશા જનતા નક્કી કરે છે. પરંતુ અમારૂ માનવું છે કે બિહારના લોકો માટે વિકાસ જ સૌથી મોટો મુદ્દો છે.
બિહારમાં એનડીએનમાંથી મુખ્ય પ્રધાનના ઉમેદવાર કોણ હશે? એવો પ્રશ્ન પણ અમિત શાહને પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “બિહારના મુખ્ય પ્રધાન કોણ હશે, એ તો સમય બતાવશે. પરંતુ અમે મુખ્ય પ્રધાન તરીકે નીતિશ કુમારની આગેવાનીમાં જ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ.”
આપણ વાંચો: બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કેટલું કાઠું કાઢશે?
એનડીએની આગેવાની કરશે નીતિશ કુમાર
અમિત શાહના આ ઈન્ટરવ્યુના બે દિવસ બાદ આજે બિહારના જળ સંસાધન પ્રધાન તથા જેડીયુના વરિષ્ઠ નેતા વિજય કુમાર ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારની આગેવાનીમાં લડવામાં આવશે. બિહારમાં એનડીએની આગેવાની નીતિશ કુમાર જ કરશે.
ઉલ્લેખનીય છે કે, બિહારમાં એનડીએ તરફથી મુખ્ય પ્રધાનના પદનો ઉમેદવાર કોણ હશે? એ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. જોકે નીતિશ કુમારને બિહારના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર બનાવવાના પ્રશ્નને લઈને છ મહિના પહેલાના એક ઈન્ટરવ્યુમાં પણ અમિત શાહે આડોઅવળો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પક્ષના આવા નિર્ણયો કોઈ મંચ પર લઈ શકાય નહીં. પક્ષનું પાર્લિયામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ અંગે વિચાર થશે અને નિર્ણય લેવાશે.