પહલગામ હુમલાની અસર: અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં ૧૦ ટકાનો ઘટાડો

શ્રીનગરઃ પહલગામ આતંકવાદી હુમલાને પગલે આ વર્ષે અમરનાથ યાત્ર માટે શ્રદ્ધાળુઓની નોંધણીમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે, એમ આ જાણકારી જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આપી હતી.
રાજભવનમાં પત્રકારો સાથેની વાતચીતમાં સિંહાએ જણાવ્યું કે ૨૨ એપ્રિલની ઘટના પહેલા યાત્રાળુઓની નોંધણી સારી ગતિએ ચાલી રહી હતી પરંતુ તે પછી નોંધણીમાં ઘટાડો થયો છે. ગયા વર્ષની સરખામણીએ નોંધણીમાં ૧૦.૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.
એલજીએ કહ્યું કે પહલગામના બૈસરનમાં થયેલા હુમલા પહેલા ૨.૩૬ લાખ યાત્રાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી હતી. આ હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા, જેમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રાના સમગ્ર રુટને નો- ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો
તેમણે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે યાત્રાળુઓમાં વિશ્વાસ પાછો ફરી રહ્યો છે. જેના પરિણામે નોંધણીમાં ફરી તેજી આવી છે.
સિંહાએ કહ્યું કે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(એસએએસબી)એ ૨૨ એપ્રિલ પહેલા યાત્રા માટે નોંધણી કરાવનારા યાત્રાળુઓની પુનઃચકાસણીની પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૮૫,૦૦૦ યાત્રાળુઓએ તેમની નોંધણીની ફરીથી પુષ્ટિ કરી છે. આગામી દિવસોમાં નોંધણીમાં વધારો થવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ વર્ષે અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાની અસર પડી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સિંહાએ કહ્યું કે તેની અસર સમગ્ર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ખીણ પર પડી છે. એલજીએ કહ્યું કે યાત્રા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે અમરનાથ યાત્રા ૩ જુલાઇથી શરૂ થશે અને ૯ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.