નેશનલ

કોલકાતાની ઘટના બાદ મમતા બેનરજીએ પીએમ મોદીને પત્ર લખીને કરી આ માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દેશમાં મહિલાઓ સામેની હિંસા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના મુખ્ય સલાહકાર અલાપન બંદ્યોપાધ્યાયે આ અંગે માહિતી આપી હતી.

સીએમ મમતા બેનર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે દેશભરમાં બળાત્કારના કેસ સતત વધી રહ્યા છે અને ઘણા કેસોમાં બળાત્કારની સાથે હત્યા પણ કરવામાં આવે છે. ભયાનક છે કે સમગ્ર દેશમાં દરરોજ લગભગ ૯૦ બળાત્કારના કેસ થાય છે.
આ કિસ્સાઓ સમાજ અને રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને વિવેકને હચમચાવી નાખે છે, આનો અંત લાવવાની આપણી ફરજ છે જેથી મહિલાઓ સુરક્ષિતતા અનુભવે. તેમણે પત્રમાં ત્રણ માંગણીઓ કરી છે.

પહેલી માંગ આવા જઘન્ય અને ક્રૂર ગુનાઓને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. બીજી માંગ- ફાસ્ટ ટ્રેક કોર્ટે જલ્દી સુનાવણી હાથ ધરવી જોઈએ. આ ઉપરાંત, ત્રીજી માંગ- ૧૫ દિવસમાં ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ.

આ પણ વાંચો: …તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી

અહીં એ જણાવવાનું કે કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ પછી હત્યાના કિસ્સાએ દેશ આખામાં રાજકીય-સામાજિક પ્રત્યાઘાતો પડ્યા હતા. સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

ઘટનાના સંદર્ભે ડોક્ટરના સંગઠનોએ હડતાળ શરુ કરી હતી, ત્યારબાદ કોલકાતા હાઈ કોર્ટે કેસની તપાસ પોલીસ પાસેથી સીબીઆઈને સોંપી હતી. આઠ દિવસથી સીબીઆઈ કેસમાં તપાસ કરે છે, જ્યારે ડોક્ટરના સંગઠનોએ જાહેર કરેલી હડતાળને આજે સમેટી લેવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button