
નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા હુમલા બાદ પ્રથમ વખત મોદી સરકારની કેબિનેટ મીટિંગ બુધવારે મળશે. મીટિંગમાં મોદી સરકાર હજુ કેટલાક આકરા નિર્ણય લઈ શકે છે. આ મીટિંગનું નેતૃત્વ ખુદ પીએમ મોદી કરશે.
કેટલા વાગે શરૂ થશે મીટિંગ
બુધવારે સવારે 11 કલાકે તમામ મંત્રીઓની મીટિંગ બોલાવવામાં આવી છે. ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રીમંડળની કોઈ બેઠક મળી નહોતી,. માત્ર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ સુરક્ષા (સીસીએસ)ની 23 એપ્રિલે બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરવામાં આવી હતી.
સીસીએસની બેઠક બાદ ભારતે ગત બુધવારે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેને લઈ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીએ 26 લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી હતી. હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતા. આ સમયે પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે હતા અને ઘટના બાદ તેઓ તાત્કાલિક પરત ફર્યા હતા.
પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ઘણા વાતોના વીરોએ સુફીયાણી સલાહો આપી હતી કે આપણે મોટી સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ જેથી આતંકવાદીઓનો જુસ્સો તૂટી જાય. પણ આવું વાસ્તવમાં હોતું નથી. સરકારે અને સુરક્ષાબળોએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને તેથી જ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે 87માંથી 48 પર્યટન સ્થળોને પર્યટકો માટે પ્રતિબંધિત જાહેર કરી છે. સરકારને મળેલી માહિતી અનુસાર હજુ પણ હુમલો થવાની શક્યતા છે, આથી આ નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
સરકારની ઈન્ટેલિજન્સ એજન્સીને મળેલા ઈનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે 22 એપ્રિલના હુમલા બાદ પણ ફરી કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો થવાની પેરવીમાં અમુક ત્રાસવાદી ગ્રુપ છે. પાકિસ્તાનની ISIએ પણ સીઆઈડીના અધિકારીઓ, કાશ્મીરી પંડિતો પર હુમલો કરવાની તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…પહેલગામ આતંકી હુમલા કેસમાં મોટો ખુલાસો, છેલ્લા દોઢ વર્ષથી થઇ રહી તૈયારી