કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

ચેન્નાઈઃ તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની એક રેલી દરમિયાન નાસભાગ મચી હતી. આ 2025ની સૌથી મોટી નાસભાગની ઘટના હતી. કારણે કે, આ નાસભાસમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી થવાની છે. મહત્વની વાત એ છે કે, અભિનેતા વિજયની તમિલગા વેત્રી કઝગમ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, આ એક કાવતરૂ હતું. જેથી પાર્ટીએ આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરતી અરજી દાખલ કરી છે.

આ નાસભાગ ડીએમકે પાર્ટીનું ષડયંત્ર હતુંઃ TVK

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હાઇ કોર્ટમાં આજે બપોર 2 વાગ્યા બાદ આ કેસમાં સુનાવણી કરવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે. TVK પાર્ટીના વકીલે એવું કહ્યું છે કે, આ નાસભાગ ગુનાહિત ષડયંત્ર છે. જેથી હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે, આ મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવે અને સીબીઆઈ દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે! TVK પાર્ટી પાસે ગુનાહિત ષડયંત્રના પુરાવા અને કેટલાક સીસીટીવી વીડિયો પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. TVK પાર્ટીનો આરોપ છે કે, ડીએમકેના નેતાઓ દ્વારા આ ગુનાહિત કાવતરૂ કરવામાં આવ્યું હતું.

27મી સપ્ટેમ્બરે યોજાઈ હતી TVKની રેલી

અભિનેતા પોતાનો રાજકીય પાવર દેખાડવા માટે તારીખ 27મી સપ્ટેમ્બરે તમિલનાડુના કરૂર જિલ્લામાં મહારેલી યોજી હતી. આ રેલીમાં આશરે 50,000 થી પણ વધારે લોકો ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન કોઈ કારણોસર નાસભાગ થઈ હતી. નાસભાગ બાદ વિજય ચેન્નાઈ થવા માટે રવાના થઈ ગયો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે નાસભાગ બાદ વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. જો કે, ચેન્નાઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો કોઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. અત્યારે વિજયના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વિજયની પાર્ટીની રેલીઓ પર પ્રતિબંધ લાદવા માંગણી

તમિલગા વેત્રી કઝગમ પાર્ટીની દરેક પ્રકારની રેલીઓ પર પ્રતિબંધ લગાવવા માટે પણ મદ્રાસ હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઇ કોર્ટે તમિલનાડુ સરકાર પાસે જવાબ માંગ્યો છે. વિજયની રેલીમાં થયેલી મોટી ભાગદોડમાં 10 બાળકો અને 16 મહિલાઓ સહિત આશરે 40 લોકોનું મોત થયું હતું. એટલું જ નહીં પરંતુ 95તી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં 51 લોકોની હાલત અતિ ગંભીર હોવાથી આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. જો કે, તેમની હાલત સારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો…તમિલનાડુમાં નાસભાગ મામલે શશિ થરૂરે આપ્યું નિવેદન, કહ્યું… આવી સ્થિતિ માટે પ્રોટોકોલ બનવા જોઈએ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button