નેશનલ

જેએનયુ કેમ્પસમાં કથિત રીતે ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના અંગે એબીવીપીએ પ્રશાસનને પત્ર લખ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) એ રવિવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) પ્રશાસનને પત્ર લખીને કેમ્પસની દિવાલો પર કથિત ‘રાષ્ટ્રવિરોધી’ સૂત્રો લખવાની ઘટનાની તપાસની માંગ કરી હતી. વિદ્યાર્થી સંગઠને વહીવટીતંત્રને એવી પણ માંગ કરી હતી કે આવા સૂત્રો લખનારાઓની તાત્કાલિક ઓળખ કરવામાં આવે અને આવા કિસ્સાઓ રોકવામાં નિષ્ફળતા માટે જવાબદારી નક્કી કરવામાં આવે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘એક વિદ્યાર્થી સંગઠન હોવાના કારણે અમે જેએનયુ કેમ્પસમાં ભારત વિરોધી સૂત્રોની લખવાની વારંવાર બનતી ઘટનાઓથી ચિંતિત છીએ. ગઈકાલે, કેટલાક વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફ્સ લીધા હતા જેમાં ભાષા વિભાગની ઇમારત પર ‘ભારતીય અધિકૃત કાશ્મીર’, ‘ફ્રી કાશ્મીર’, ‘ભગવા જલેગા’ જેવા સૂત્રો લખેલા જોવા મળ્યા હતા.’

જેએનયુમાં એબીવીપીના આગેવાને જણાવ્યું હતું કે પ્રશાસનના ધ્યાન પર લાવવામાં આવ્યા બાદ અને સોશિયલ મીડિયા પર તસવીરો ફરતી થયા બાદ વહીવટીતંત્રે રવિવારે સવારે દિવાલ પર સફેદ કલર કરી દીધો હતો. વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે આવી ઘટનાઓને રોકવામાં નિષ્ફળતા માટે જેએનયુના મુખ્ય સુરક્ષા અધિકારીને જવાબદાર ઠેરવવા જોઈએ.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ યુનિવર્સિટીની ઘણી દિવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર અંગે વાંધાજનક અને વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. જોકે, આ સૂત્રો કોણે લખ્યા હતા તે અંગે યુનિવર્સિટી પ્રશાસનને હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પ્રશાસનનું કહેવું છે કે આ સ્લોગન કોણે લખ્યા અને તેની પાછળનો યોજના શું છે, તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button