
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ડોડાથી આમ આદમી પાર્ટી (AAP) ના વિધાનસભ્ય મેહરાજ મલિકની અટકાયત મામલે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. મલિકની અટકાયત સામે AAP સખત વિરોધ કરી રહી છે.
AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહ શ્રીનગર પહોંચી ગયા છે, આજે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરવા હતાં, એ પહેલા તેમને નજરકેદ (Sanjay Singh house arrest) કરવામાં આવ્યા. નેશનલ કોન્ફરન્સના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા તેમને મળવા પહોંચ્યા હતાં.

ફારુક અબ્દુલ્લાને ગેટ પર રોકવામાં આવ્યા:
આમ આદમી પાર્ટીએ લગાવેલા આરોપ મુજબ સંજય સિંહ જ્યાં રોકાયા હતાં એ ઘરના મેઈન ગેટ પર જમ્મુ અને કાશ્મીર પોલીસે બહારથી તાળું મારી દીધું હતું.
સંજય સિંહને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હોવાની જાન થતા ફારુક અબ્દુલ્લા તેમને મળવા પહોંચ્યા હતાં. પરંતુ ફારુક અબ્દુલ્લાને ગેટ પર રોકવામાં આવ્યા, આ દરમિયાન સંજય સિંહ ગેટ પર ચઢીને અબ્દુલ્લા સાથે વાત કરી હતી.
‘આ સરમુખત્યારશાહી નહીં તો બીજું શું?’
સંજય સિંહે જમ્મુ અને કાશ્મીર પોલીસના આ વ્યવહારને સરમુખત્યારશાહી ગણાવી છે. તેમણે X પર લખ્યું, મને નજર કેદ કરવામાં આવ્યો છે એ વાત જાણીને ઘણી વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન રહી ચુકેલા ડૉ. ફારુક અબ્દુલ્લા સરકારી ગેસ્ટ હાઉસમાં મળવા માટે આવ્યા, પણ જમ્મુ અને કાશ્મીર પોલીસે તેમને મને મળવા દીધા નહીં. જો આ સરમુખત્યારશાહી નથી, તો શું છે?”
મેહરાજ મલિક પર ગંભીર આરોપ:
મેહરાજ મલિકની AAPના જમ્મુ અને કાશ્મીર યુનિટના વડા છે. ડોડા જિલ્લામાં જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાના આરોપસર તેમની અટકાયત કરવામાં આવ્યા, તેમની સામે પબ્લિક સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અટકાયત બાદ તેમને કઠુઆ જિલ્લાની જેલમાં મોકલવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું, સંજય સિંહ મેહરાજ મલિકની ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, એ પહેલા તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. દિલ્હીના AAP વિધાનસભ્ય ઇમરાન હુસૈનને તેમની સાથે નજરકેદ કરવામાં આવ્યા છે.