ટોપ ન્યૂઝનેશનલ

એક જ દિવસમાં 78 સાંસદ સસ્પેન્ડ, સુરક્ષામાં ચૂકને લઇને હોબાળો મચાવતા બંને ગૃહના સાંસદો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ શિયાળુ સત્રના 11મા દિવસે એક મોટી કાર્યવાહી થઇ છે. લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહમાંથી કુલ 78 સાંસદની સુરક્ષામાં ચૂકની ઘટના મુદ્દે હોબાળો તથા વિરોધ-પ્રદર્શન કરવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરક્ષામાં ચૂકની ઘટનાને 4 દિવસ થયા છે અને સતત ચોથા દિવસે પણ વિપક્ષ દ્વારા આ મુદ્દે ચર્ચા થાય તેવી માગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવતા લોકસભા સ્પીકર ઓમ બિરલા તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ કાર્યવાહી કરી હતી.

આમાંથી 3 ગુજરાતી સાંસદો શક્તિસિંહ ગોહીલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે.

આ પછી રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના 45 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 47 લોકસભા સાંસદને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયનને પણ 14 ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા છે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે સંસદ ચૂકની આ ઘટના પર રાજનીતિ થઇ રહી છે. પહેલા ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. એ પછી કેન્દ્રીય સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંચાર બિલ રજૂ કર્યું હતું. એ પછી ફરી વિપક્ષના નેતાઓ દ્વારા બેનરો વડે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવવામાં આવ્યો. બપોરે 2 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સાંસદોના સસ્પેન્શનને પગલે ગૃહની કાર્યવાહી આવતીકાલ (મંગળવાર) સુધી સ્થગિત કરવામાં આવી હતી.

રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી સવારે 11-30 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી અને તે પછી વિપક્ષએ સૂત્રોચ્ચાર કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માગ કરી હતી. હોબાળો વધતા રાજ્યસભાના 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button