એથિક્સ કમિટીના 6 સભ્યો મહુઆ મોઇત્રાને બરતરફ કરવાના મતમાં, સ્પીકર ઓમ બિરલા લેશે અંતિમ નિર્ણય

લોકસભાની એથિક્સ કમિટીમાં આજે પ્રસ્તાવ પાસ કરવા માટે ફાઇનલ મીટિંગ મળી હતી. જે ફક્ત 5 મિનિટની અંદર પૂરી થઇ ગઇ હતી. ભાજપ સાંસદ વિનોદકુમાર સોનકરની અધ્યક્ષતાવાળી આ બેઠકમાં કોઇ પ્રકારની ચર્ચા વગર 500 પાનાના રિપોર્ટ માટે પેનલમાં વોટિંગ કરાયું જેમાં 6 સભ્યોએ મહુઆ મોઇત્રાને બરતરફ કરવાના પક્ષમાં વોટ આપ્યો જ્યારે 4 સભ્યોએ રિપોર્ટનો વિરોધ કર્યો છે.
એથિક્સ કમિટીની બેઠક બાદ વિનોદકુમાર સોનકરે મીડિયાને જણાવ્યું હતું કે સમિતિના 6 સભ્યોએ રિપોર્ટના સ્વીકારને લઇને સમર્થન આપ્યું છે જ્યારે 4 લોકોએ રિપોર્ટની વિરુદ્ધમાં મત આપ્યો છે. એથિક્સ કમિટી કુલ 15 સભ્યોની હતી જેમાં ભાજપ સહિત કોંગ્રેસ, બસપા, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, જનતા દળ, શિવસેના જેવા વિપક્ષના સભ્યો પણ સામેલ હતા.
મહુઆને બરતરફ કરવાના પક્ષમાં કોંગ્રેસ સાંસદ પરિણીતી કોરે મત આપ્યો હતો. તેઓ કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે.
JDU સાંસદ ગિરિધારી યાદવે કહ્યું હતું કે આજની બેઠકમાં રિપોર્ટ અંગે કોઇ ચર્ચા ન થઇ, આ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે, દ્રૌપદીના ચીરહરણને કારણે જ મહાભારત થયું હતું. હવે આ રિપોર્ટને આગળની કાર્યવાહી માટે ઓમ બિરલા પાસે મોકલવામાં આવશે.