વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલથી પાયલટ્સમાં આક્રોશ: કેપ્ટન રંધાવાએ માફી અને સ્પષ્ટીકરણની માંગ કરી

મુંબઈ: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો પ્રારંભિક રિપોર્ટ 12 જુલાઈ 2025ના રોજ આવ્યો હતો. જેમાં એન્જિનની ફ્યુલ સ્વીચ બંધ થવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પાયલટ પર ફ્યુલ સ્વીચ બંધ કરવાના આરોપો લગાવ્યા હતા. જેથી ફેડરેશન ઓફ પાયલટ રોષે ભરાયું છે.
WSJ માફી માંગે અને સ્પષ્ટીકરણ આપે: કેપ્ટન સીએસ રંધાવા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસના રિપોર્ટને લઈને અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ફ્યૂલ સ્વીચ બંધ કરી હતી. જેને લઈને દેશના પાયલટ્સે અસંતોષ વ્યક્ત કર્યો છે.
આપણ વાંચો: પટના એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, પાયલોટની સમય સુચકતાથી 173 મુસાફરોના જીવ બચ્યા
‘ફેડરેશન ઓફ પાયલટ’ના અધ્યક્ષ કેપ્ટન સીએસ રંધાવાએ મીડિયાને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું કે, “પાટલટ્સને ખોટી રીતે દોષી બનાવવામાં આવી રહ્યા છે. પ્રારંભિક રિપોર્ટમાં એવું કોઈ તારણ સામે આવ્યું નથી.
હું સંપૂર્ણ રીતે વોલ સ્ટ્રીટ જનરલને જવાબદાર ગણાવું છું. ન્યુઝ એજન્સી પોતાની રીતે તારણ કાઢીને સમાચાર ફેલાવી દે છે. શું તે કોઈ તપાસ કરનારી એજન્સી છે? રિપોર્ટમાં એવું કશું લખવામાં નથી આવ્યું, તો પછી તે જાતે કેવી રીતે પરિણામ જણાવી શકે છે?”
આપણ વાંચો: વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ રમેશ અત્યારે ક્યાં છે? પિતરાઈ ભાઈએ જણાવી હકીકત…
કેપ્ટન રંધાવાએ આગળ જણાવ્યું કે, “જો વોલ સ્ટ્રીટ જનરલ માફી નહી માગે અને પોતાના દાવાનું સ્પષ્ટીકરણ નહી આપે તો અમે આગળ કાયદાકીય કાર્યવાહી કરીશું.”
ઉલ્લેખનીય છે કે, વોલ સ્ટ્રીટ જર્નલના દાવાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ પણ નારાજગી વ્યક્ત કરી હતી. AAIBએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોએ બેદરકારીપૂર્વક કવરેજ કર્યું છે. તેઓ પ્રારંભિક તથ્યોના આધારે તારણો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓને સંયમ રાખવાની જરૂર છે, કારણ કે, તેમના તારણોથી કેસની તપાસ પર અસર પડી શકે છે.