લોકસભા ચૂંટણી 2024: એનસીપીએ કેમ આપી મહાયુતીમાંથી બહાર નીકળી જવાની ધમકી?
શિવતારેએ અજિત પવારને વીંછી કહ્યો એટલે એનસીપીના નેતાઓ આગબબૂલા

પુણે: મહાયુતીની અત્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તો મહાયુતીની બેઠકોની વહેંચણી ફાઈનલ થઈ નથી રહી અને બીજી તરફ શિંદે સેનાના નેતા વિજય શિવતારે અજિત પવાર પર બેફામ ટીકા કરી રહ્યા હોવાથી હવે એનસીપીના પદાધિકારીઓ આગબબૂલા થઈ ગયા છે અને મહાયુતી છોડવાની ધમકી આપી રહ્યા છે.
અજિત પવાર જૂથના અગ્રણી નેતા ઉમેશ પાટીલ મંગળવારે અત્યંત આક્રમક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિજય શિવતારેને ચૂંટણી લડવી હોય તો લડી શકે છે, અમારે વિરોધ કરવાનું કોઈ કારણ નથી. જોકે, અમારા નેતા અજિત પવારે વીંછી કહેવું, તેમને ચપ્પલથી મારવાની વાત કરવી. તેમની સરખામણી વીંછીની સાથે કરવી. આટલા નિમ્ન સ્તર પર જઈને ટીકા કરવી. આ બધું સાંભળી લેવા જેટલા લાચાર અમે હજી થયા નથી. વિજય શિવતારે શિવસેનાના જ્યેષ્ઠ નેતા છે. મહાયુતીના ઘટક પક્ષના નેતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતે તેમને બોલાવીને સમજાવ્યા હતા. આમ છતાં તેઓ સમજવા માટે તૈયાર જ નથી.
આ પણ વાંચો: શિવસેના-એનસીપી પુત્ર-પુત્રીના મોહમાં તૂટીઃ અમિત શાહ
એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરી ચૂંટી કાઢવાના છે એમ કહેવું અને બીજી તરફ મહાયુતીના ઘટક પક્ષના નેતાને માટે અવરોધ ઊભા કરવાનું કામ કરવાનું. અમારા નેતા વિરુદ્ધ આટલી હદે જઈને ટીકા ટિપ્પણીઓ કરવામાં આવતી હશે તો અમને મહાયુતીમાં રહેવું કે નહીં તેના પર ફેરવિચાર કરવો પડશે. અમે હજી એટલા લાચાર થયા નથી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પર આટલી હલકી ટિપ્પણીઓ અત્યંત ગંભીર બાબત છે.
વિજય શિવતારેએ શું કહ્યું હતું?
આ વીંછી અત્યાર સુધી અનેક લોકોને ડંખ્યો છે. હવે મહાદેવની પિંડી પર મોદી પાસે જઈને બેઠો છે. હવે સમસ્યા એવી છે કે તેને ચપ્પલથી મારો તો મહાદેવને પણ લાગશે અને વીંછીને મારી પણ શકાતો નથી. આ લોકોની લાગણી છે. વીંછીના રૂપમાં રહેલા ફક્ત અજિત પવારનો જ નહીં, એનસીપીના બંને જૂથોને ખતમ કરવા જોઈએ, એમ શિવતારેએ કહ્યું હતું.