જામીન પર છૂટી ફરાર થયેલા આરોપીની 28 વર્ષ બાદ વિલેપાર્લેમાં ફરી ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોરીના પાંચ ગુનામાં ધરપકડ બાદ જામીન પર છૂટીને ફરાર થયેલા આરોપીને પોલીસે છેક 28 વર્ષે શોધી કાઢ્યો હતો. વિલેપાર્લે પરિસરમાં આવેલા આરોપીની ફરી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જોગેશ્ર્વરી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અણ્ણાદુરાઈ ઉર્ફે રાજુ કરપન્ના દેવેન્દ્ર (55) તરીકે થઈ હતી.
નાલાસોપારામાં ચાર નંબર રોડ પરના શનિ મંદિર નજીક રહેતો દેવેન્દ્ર વિલેપાર્લે પશ્ર્ચિમમાં નેહરુ નગર ખાતે આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી.પોલીસના જણાવ્યા મુજબ જોગેશ્ર્વરી પોલીસ સ્ટેશનમાં 1998માં નોંધાયેલા ચોરીના પાંચ ગુનામાં સંડોવાયેલા આરોપી દેવેન્દ્રની તે સમયે ધરપકડ કરાઈ હતી.
જોકે જામીન પર છૂટ્યા પછી આરોપી કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન હાજર રહેતો નહોતો. નોટિસ મોકલાવ્યા છતાં આરોપી તરફથી કોઈ જવાબ ન મળતાં કોર્ટે કાનૂની પ્રક્રિયા કરી તેને ફરાર જાહેર કર્યો હતો. તે સમયે પોલીસે શોધ ચલાવ્યા છતાં આરોપીની કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન તાજેતરમાં રેકોર્ડ પરના આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જોગેશ્ર્વરી પોલીસની તડીપાર સ્ક્વોડે સઘન તપાસ બાદ આરોપી વિલેપાર્લેમાં આવવાનો હોવાનું શોધી કાઢ્યું હતું. જૂહુ પોલીસની મદદથી છટકું ગોઠવી પોલીસે આખરે દેવેન્દ્રને પકડી પાડ્યો હતો.



