
મુંબઈ: ધારાવી જંકશનથી બાંદ્રા-વરલી સી લિંક પર ઝડપથી પહોંચવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બનાવેલ કલાનગર જંકશન પરના ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ વિસ્તરણ પ્રોજેક્ટ હેઠળ વાકોલા-પાનબાઈ સ્કૂલ ફ્લાયઓવરનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે, સ્થાનિક ધારાસભ્ય વરુણ સરદેસાઈએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનો પાસે ઉદ્ઘાટન માટે સમય ન હોવાથી આ બંને પુલ ટ્રાફિક માટે ખોલવામાં આવી રહ્યા નથી.
એમએમઆરડીએએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને કલાનગર જંકશન પર ટ્રાફિક જામ હળવો કરવા માટે કલાનગર જંકશન પર ત્રણ ફ્લાયઓવરનું બાંધકામ હાથ ધર્યું હતું. ત્રણમાંથી બે પુલ પૂર્ણ થઈ ગયા છે અને હવે કાર્યરત છે. હવે ધારાવી જંક્શનથી બાંદ્રા-વરલી સી લિંક સુધીનું કામ પણ થોડા દિવસો પહેલા પૂર્ણ થયું છે. જોકે, આ બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. પુલ પૂર્ણ થયા હોવા છતાં પ્રધાનોને જનતાને સમર્પિત કરવા માટે સમય ન મળવા બદલ નારાજગી વ્યક્ત કરતા વરુણ સરદેસાઈએ ૨ જુલાઈના રોજ પુલ પરના રસ્તાના અવરોધો દૂર કર્યા હતા અને તેને ટ્રાફિક માટે ખુલ્લો મૂક્યો હતો. આ પુલ પર થોડા સમય માટે વાહનો દોડ્યા પણ હતા.

જોકે, પુલ પર વીજળીનું જોડાણ અધૂરું છે અને જો રાત્રિના અંધારામાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ એમ કહીને એમએમઆરડીએ એ પુલ બંધ કરી દીધો,જે હજી બંધ છે. પરંતુ હવે આ પુલ પર વીજળી જોડાણ પૂર્ણ થઈ ગયું છે. લાઇટો દેખાઈ રહી છે. તો હવે એમએમઆરડીએ શેની રાહ જોઈ રહ્યું છે? તેમણે વધુમાં કહ્યું કે,હું બંને પ્રોજેક્ટ અંગે એમએમઆરડીએ સાથે સતત ફોલોઅપ કરી રહ્યો છું. મેં વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. પરંતુ બંને પ્રોજેક્ટ હજુ પણ ખુલ્યા નથી, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે અસુવિધા થઈ રહી છે. તેથી, તેમણે એમએમઆરડીએ ને ચેતવણી આપી છે કે જો આગામી ૧૦ દિવસમાં આ બંને પ્રોજેક્ટ શરૂ કરવામાં નહીં આવે, તો હું અને અમારા કાર્યકરો પુલ અને એલિવેટેડ રોડ ખોલવા જઈશું.
આ અંગે પૂછવામાં આવતા, એમએમઆરડીએ એ જણાવ્યું હતું કે બંને પ્રોજેક્ટમાં થોડું કામ બાકી છે અને તે કામ પૂર્ણ થયા પછી જ બંને બ્રિજ ખોલવામાં આવશે. જોકે, વરુણ દેસાઈએ કહ્યું છે કે એમએમઆરડીએ ખોટી માહિતી આપી રહ્યું છે અને બંને પ્રોજેક્ટ્સનું ૧૦૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.સૂત્રોએ માહિતી આપી હતી કે એમએમઆરડીએ બ્રિજના ઉદ્ઘાટન માટે પ્રધાનનો સમય મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અને આ બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ૧૫ ઓગસ્ટના રોજ થવાની શક્યતા છે.