આમચી મુંબઈ

મુંબઈમાં ‘માતોશ્રી’ નજીક અજાણ્યું ડ્રોન ઉડતા ખળભળાટઃ ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેએ ઉઠાવ્યા ગંભીર સવાલો…

મુંબઈઃ બાંદ્રા વિસ્તારમાં આવેલા ઉદ્ધવ ઠાકરે પરિવારના નિવાસસ્થાન માતોશ્રીની બહાર એક અજાણ્યું ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
હાઈ સિક્યુરિટી ઝોનમાં ગણાતા આ વિસ્તારમાં ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ અને ઠાકરે જૂથ બંનેને ચિંતામાં મૂકી દીધા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન માતોશ્રી અને MMRDA ઓફિસ વચ્ચેના રસ્તા પર થોડા સમય માટે ઉડતું જોવા મળ્યું હતું. માતોશ્રી ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓએ ડ્રોન જોતાં જ તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને સંબંધિત સુરક્ષા અધિકારીઓને તેની જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ ઠાકરે જૂથે આરોપ લગાવ્યો હતો કે આ ડ્રોન દ્વારા ઉદ્ધવ ઠાકરેને મળવા આવતા લોકોની જાસૂસી કરવામાં આવી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે માતોશ્રી સંકુલ હાઈ સિક્યુરિટી ઝોન આવે છે. તેમ છતાં, આવા ડ્રોન ઉડવા એ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર મુદ્દો છે. શું કોઈ માતોશ્રી પર જાસૂસી કરી રહ્યું છે? આની તપાસ થવી જોઈએ.

આ ઘટના અંગે પોલીસે શું કહ્યું?
મુંબઈ પોલીસે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા એક નિવેદન બહાર પાડ્યું હતું. પોલીસે જણાવ્યું કે MMRDAની પરવાનગી મુજબ BKC અને ખેરવાડી વિસ્તારોમાં ડ્રોન સર્વે ચાલી રહ્યો છે. મહેરબાની કરીને કોઈ પણ ખોટી અફવા નહીં ફેલાવો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ડ્રોન કદાચ એ જ સર્વેનો ભાગ હતો અને કોઈ વ્યક્તિગત જાસૂસીનો પણ કેસ નથી.
જોકે, ઠાકરે જૂથ આ સ્પષ્ટતાથી સંતુષ્ટ જણાતું નથી. તેમનું કહેવું છે કે ડ્રોન સર્વેની પરવાનગી હોય કે ન હોય, માતોશ્રી ઉપર કે તેની આસપાસ આવા ડ્રોન ઉડાવવા પર સખત પ્રતિબંધ હોવો જોઈએ.

આદિત્ય ઠાકરેએ ઉઠાવ્યા સવાલ
શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી હતી અને કહ્યું હતું કે શું BKC સર્વેના નામે અમારા ઘર પર નજર રાખવામાં આવી રહી છે? તેમણે સીધો પ્રશ્ન પૂછ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખતા ઠાકરેએ ગોપનીયતા અને સુરક્ષાનો મુદ્દો ઉપાડ્યો. “કેવા પ્રકારનો સર્વે હતો જે કોઈના ઘરમાં ઘૂસીને તેમને જોતા જ તરત જ ભાગી જવાની પરવાનગી આપે છે?” તેમણે પૂછ્યું. શું તેઓએ અમારા ઘરનું સર્વેક્ષણ કર્યું હતું કે આખા બીકેસીનું?

MMRDAએ આ ડ્રોન BKC વિસ્તારમાં સર્વે માટે હતું અને તેને મુંબઈ પોલીસની પરવાનગી મળી હોવાનો દાવો કર્યો હતો. જોકે, ઠાકરેએ આ ખુલાસાને નકારી કાઢ્યો અને પૂછ્યું, “જો પોલીસ પરવાનગી હતી, તો રહેવાસીઓને પહેલા જાણ કરવામાં કેમ ન આવી?”

ડ્રોન ઉડાડવાને બદલે તમારા કામ પર ધ્યાન આપો
ઠાકરેએ એમએમઆરડીએ પર ભ્રષ્ટાચાર અને નબળા કામનો આરોપ લગાવતા આકરી ટીકા કરી. “એમએમઆરડીએએ ડ્રોન ઉડાવવાને બદલે જમીન પરના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અટલ સેતુ (એમટીએચએલ) તેમના ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે, તેમણે કટાક્ષ કર્યો.

આ ઘટનાએ સત્તાવાર સર્વેક્ષણોની પારદર્શિતા અને નાગરિકોની ગોપનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. એમએમઆરડીએ અને મુંબઈ પોલીસે ફક્ત એટલું જ કહ્યું છે કે “આ એક સત્તાવાર સર્વે હતો”, અને વધુ કોઈ વિગતો આપવામાં આવી નથી. માતોશ્રી વિસ્તારમાં ડ્રોનની ઘટનાએ રાજકીય વિવાદ ઉભો કર્યો છે. ઠાકરે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓએ સંસ્થાઓની ભૂમિકા અને સર્વેક્ષણ પ્રક્રિયાની પારદર્શિતા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.

નોંધનીય છે કે ડ્રોન નીતિ મુજબ મુંબઈના ઘણા વિસ્તારો, ખાસ કરીને VIP અને સરકારી રહેણાંક વિસ્તારો, રેડ ઝોનમાં આવે છે, જ્યાં ખાસ પરવાનગી વિના ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ ઘટના બાદ માતોશ્રીની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

સ્થાનિક પોલીસે ડ્રોન ક્યાં અને કયા હેતુ માટે ઉડાડવામાં આવ્યું હતું તે નક્કી કરવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી દીધી છે. હાલ તપાસ ચાલુ છે. સુરક્ષા એજન્સી કોઈ પણ સંભવિત જોખમ અથવા જાસૂસીની શક્યતાને નકારી રહી નથી.

આ પણ વાંચો…રાજ ઠાકરે ફરી માતોશ્રીના દ્વારેઃ બન્ને ભાઈઓ વર્ષમાં છટ્ઠી વાર મળ્યા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button