ડબલ એન્જિન સરકાર હોવા છતાં ઉદ્ધવ ઠાકરેથી ગભરાય છે ભાજપ?
ઉદ્ધવ-રાજ ઠાકરેની વધી રહેલી નજદીકીથી ભાજપનું ટેન્શન વધ્યું, રાજ ઠાકરેને મળવા જશે ચંદ્રશેખર બાવનકુળે: સમજો શું છે મહત્ત્વ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા કોઈ મોટી રમત થવાની અટકળો ચાલી રહી છે ત્યારે ઠાકરે બંધુઓ એકસાથે આવવાની વાતોએ પણ ભાજપની અકળામણમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં રાજ ઠાકરેના ઘરે ચા પીવા માટે જશે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફાયદો થયો હતો, ત્યારે શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ભગવા પક્ષનો પણ સારો સમય રહ્યો હતો, પરંતુ હવે જ્યારે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનું બ્યુગલ ટૂંક સમયમાં ફૂંકાય તેવી અપેક્ષા છે, ત્યારે તમામ પક્ષો પ્રાદેશિક મુદ્દાઓ સાથે મરાઠી મતો પર નજર રાખી રહ્યા છે.
આપણ વાંચો: ઉદય સામંત ચોથી વાર રાજ ઠાકરેને મળ્યા: ઠાકરે બંધુઓના મનમેળને તોડવાનો હેતુ?
આ જ કારણ છે કે કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં રહેલી ભાજપ ડબલ એન્જિન સરકાર હોવા છતાં અત્યારે બેચેન છે.
તાજેતરમાં મહાયુતિ સરકારમાં પ્રધાન બનેલા છગન ભુજબળે એમ પણ કહ્યું છે કે ઠાકરે અને પવાર પરિવારોએ એક થવું જોઈએ.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક સાથે આવવાની અટકળો ચાલી રહી છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને મરાઠી મતોનું વિભાજન રોકવા માંગે છે. તાજેતરમાં, રાજ ઠાકરેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પવાર અને ઠાકરે બ્રાન્ડ હંમેશા મહારાષ્ટ્રમાં રહેશે. તેને ખતમ કરી શકાશે નહીં.
આ પછી, સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરે વતી સારો પ્રતિભાવ આપ્યો હતો. સૂત્રો કહે છે કે ઉદ્ધવની આગેવાની હેઠળની શિવસેના યુબીટી હવે કોઈપણ કિંમતે મરાઠી મતોનું વિભાજન રોકવા માગે છે.
આપણ વાંચો: શું ઠાકરે બંધુઓ ભેગા થશે?
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ‘શિવસેના (યુબીટી) અને રાજ ઠાકરેની પાર્ટી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોમાં મોટો ફટકો પડ્યો. ઉદ્ધવ 20 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા, જ્યારે રાજ ઠાકરે તેમના પુત્ર અમિતને પણ જીતાડી શક્યા નહોતા.
મહારાષ્ટ્રના રાજકીય નિષ્ણાતો કહે છે કે, રાજ અને ઉદ્ધવ વચ્ચે વધતા પ્રેમને કારણે ભાજપની અકળામણ વધવી સ્વાભાવિક છે. શિવસેના તોડીને અને ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન છીનવી લીધા પછી પણ ભાજપ ઉદ્ધવ ઠાકરેને સંપૂર્ણપણે તોડી શક્યું નથી.
પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન છીનવી લીધા પછી પણ, ઉદ્ધવે લોકસભા ચૂંટણીમાં 9 સાંસદો જીતાડીને પોતાની તાકાત બતાવી હતી. જોકે તેઓ વિધાનસભામાં એટલા સફળ થયા ન હતા, પરંતુ શિવસેના યુબીટી હજુ પણ એમવીએમાં સૌથી મોટી પાર્ટી બની છે. ઉદ્ધવને લાગતું હશે કે જો મનસે તેમની સાથે હોય તો બેઠકોની સંખ્યા વધી શકે છે.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો મહારાષ્ટ્રમાં શું બદલાશે, ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક?
નિષ્ણાતો કહે છે કે જો મનસે અને શિવસેના (યુબીટી) મુંબઈ મનપાની ચૂંટણીમાં સાથે હોય તો ભાજપની ગણતરીઓ ઊંધી પડી શકે છે. ઉદ્ધવની છાવણીમાંથી સાંસદ સંજય રાઉત, વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને અનિલ પરબે રાજ ઠાકરેને ગઠબંધન માટે વાતચીત શરૂ કરવા અપીલ કરી છે. આ જ કારણ છે કે ભાજપે મહારાષ્ટ્ર રાજ્ય પ્રમુખ માટે રવિન્દ્ર ચવ્હાણનું નામ આગળ મૂક્યું છે. તેઓ હાલમાં કાર્યકારી પ્રમુખ છે.
મુંબઈ મનપા દેશની સૌથી ધનિક અને સૌથી મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે. બીએમસીમાં કુલ બેઠકોની સંખ્યા 227 છે. બહુમતી માટે 114 બેઠકો જરૂરી છે. 2017ની ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાને 77 બેઠકો મળી હતી.
ભાજપને 82 અને એનસીપી અને કોંગ્રેસને 12 અને 31 બેઠકો મળી હતી. આ ઉપરાંત એનસીપીને 9 અને મનસેને 7 બેઠકો મળી હતી. આ ઉપરાંત એઆઈએમઆઈએમને 2 બેઠકો મળી હતી. આ પહેલાની એટલે કે 2012ની ચૂંટણીઓમાં રાજ ઠાકરેની પાર્ટીએ 28 બેઠકો જીતી હતી.