થાણેની ઈમારતમાં આગ: ફ્લૅટમાલિકનું મૃત્યુ

થાણે: થાણેમાં ચાર માળની ઈમારતના એક ફ્લૅટમાં લાગેલી આગમાં ફ્લૅટમાલિકનું મૃત્યુ થયું હોવાનું પોલીસ અદિકારીએ જણાવ્યું હતું. થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે બુધવારની રાતે 9.45 વાગ્યે થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલી પ્રથમેશ એપાર્ટમેન્ટ ઈમારના ચોથા માળે આવેલા ફ્લૅટમાં આગ લાગી હતી.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટિંગ સાધનોની મદદથી લગભગ અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
આપણ વાંચો: જેસલમેરમાં ખાનગી બસમાં લાગેલી આગમાં 26 લોકોના મોતનું કારણ પ્રકાશમાં આવ્યું…
આગમાં ફ્લૅટમાલિક સચિન નિકમ (45) ગંભીર રીતે દાઝ્યો હતો. કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાયેલા નિકમને તબીબે મૃત જાહેર કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આગને કારણે વાયરિંગ, સીલિંગ ફૅન્સ, પડદા અને ફ્લૅટમાંની અન્ય વસ્તુઓને નુકસાન થયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



