સુપ્રીમ કોર્ટના આદેશથી 2 ટેન્ડર રદ, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ, એકનાથ શિંદે પાસેથી રાજીનામાની માંગ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના બે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ટેન્ડર રદ થયા બાદ રાજકીય ગરમાવો ખૂબ જ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ MMRDA એ 6,000 કરોડ રૂપિયાના એલિવેટેડ રોડ અને 8,000 કરોડ રૂપિયાના રોડ ટનલ પ્રોજેક્ટ્સના ટેન્ડર રદ કર્યા છે. એમએમઆરડીએના જણાવ્યા અનુસાર, આ નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
પરંતુ આ નિર્ણયથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિપક્ષના નિશાના પર આવી ગયા છે, કારણ કે MMRDA હવે તેમના વિભાગ હેઠળ છે. શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર ગંભીર આરોપો લગાવ્યા છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે સ્વતંત્ર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિંદેને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગ કરી છે.
આપણ વાંચો: આસામમાં 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ: સુપ્રીમ કોર્ટે માનવાધિકાર પંચને તપાસ સોંપી…
આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો હતો કે આ પ્રોજેક્ટ્સમાં શરૂઆતથી જ ગોટાળા થઈ રહ્યા હતા. કંપનીઓને શરૂઆતમાં ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત 20 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જે બાદમાં ન્યાયિક હસ્તક્ષેપને કારણે 60 દિવસ સુધી લંબાવવામાં આવ્યો હતો.
તેમણે સ્વતંત્ર ન્યાયિક તપાસની હાકલ કરી, અને કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. કોંગ્રેસે પણ સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માંગને સમર્થન આપ્યું છે.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન બિલ પર કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી: ૧૯૯૫ના અધિનિયમ પર પણ સવાલ
તે જ સમયે, શિવસેનાના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે આદિત્ય ઠાકરેના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કદમે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને સીધી એકનાથ શિંદે સાથે જોડવી ખોટી છે.
તેમણે આરોપ લગાવ્યો કે આદિત્ય ઠાકરે આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યા છે. યોગેશ કદમે એવો પણ દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના નેતૃત્વમાં MMRDA એ ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
હાલમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ વિપક્ષને એકનાથ શિંદે પર હુમલો કરવાની મોટી તક મળી છે. બધાની નજર હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર છે કે શું તેઓ આ મામલાની તપાસનો આદેશ આપશે.